વાસણાના દેવાસ ફ્લેટમાં ધોધમાર વરસાદને કારણે લાખોનું નુકસાન, તંત્રએ માત્ર 3800 રૂપિયાની સહાય જાહેરાત કરતા રહીશોમાં રોષ
10 જુલાઇએ અમદાવાદમાં વરસ્યો આફતનો વરસાદ
તંત્ર દ્વારા માત્ર 3800 રૂપિયાની સહાય કરી જાહેર
વાસણા દેવાસ એપાર્ટમેન્ટમાં લાખોનું થયુ છે નુકસાન
અમદાવાદમાં 10 જુલાઇએ પડેલા તોફાની વરસાદમાં ભારે નુકસાન થવા પામ્યુ છે. વિનાશક વરસાદથી અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા હતા. ઘરોમાં છાતી સમા પાણી ભરાઇ ગયા હતા. ઘર વખરી સહિત લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યુ હતું, જેની સામે સરકાર દ્નારા માત્ર 3800 રૂપિયાની સહાય જાહેર કરાતા ચર્ચાનો દોર શરૂ થયો છે.
10જુલાઇએ વરસાદી આફતમાં લાખોનું નુકસાન
વાત છે વાસણાના દેવાસ એપાર્ટમેન્ટની. 10 જુલાઇએ ધોધમાર વરસાદમાં લોકોના ઘર પાણી પાણી થઇ ગયા હતા. ઘરની એક વસ્તુ એવી બાકી ન હતી કે પાણીમાં તણાઇ ન હોય. 130 ઘર ધરાવતા દેવાસ એપાર્ટમેન્ટના રહીશોની મહેનત વરસાદી પાણીમાં તણાઇ ગઇ હતી. કોઇને હજારો રૂપિયાનુ તો કોઇને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યુ હતું. લોકોને આશા હતી કે સરકાર નુકસાનીનુ સરવે કરાવ્યા બાદ તે પ્રમાણેની સહાય જાહેર કરશે. પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા માત્ર 3800 રૂપિયાની સહાય જાહેર કરતા સહાયના નામે મજાક કરી હોય તેવી લાગણી રહીશો અનુભવી રહ્યા છે.
સરકારે લાખોના નુકસાન સામે રૂ.3800 સહાય !
મહત્વનું છે કે દેવાસ એપાર્ટમેન્ટના 130 ઘરોમાં 5થી 6 ફૂટ પાણી ભરાયું હતું. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા શો રૂમને લાખો રૂપિયાનું નુકસાન થયુ હતું.અને ઘરદીઠ 1.50થી 2 લાખની નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે માત્ર 3800 રૂપિયાની સહાયની જાહેરાત કરાતા શહેરીજનોએ દુઃખની લાગણી અનુભવી. આ અંગે વીટીવી ન્યૂઝ દ્વારા દેવાસ એપાર્ટમેન્ટના રહીશો સાથે વાત કરતા જણાવ્યુ કે સરવે કરવા કોઇ આવ્યુ નથી. અમને મૂરખ બનાવવા કરતા સારુ કે સહાય ન આપશો. 3800 રૂપિયાની સહાય પોસાય તેમ જ નથી. અરે પાણી ઉતર્યા પછી તંત્ર તરફથી કોઇ મદદ મળી નથી. ઠેર ઠેર ગંદકી છે. નથી કોઇ દવાનો છંટકાવ કરવા આવતુ. લોકો બીમારીમાં સપડાઇ રહ્યા છે. તંત્ર 38000 હજાર આપે તો પણ ઓછા પડે તેમ છે ત્યારે 3800માં તો આ મોંઘવારીમાં શું આવે ?
3800ની ફિક્સ રકમ 2015થી નક્કી કરાઇ
ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું કે વરસાદી પાણીના નુકસાન માટે ફિકસ 3800ની રકમ 2015થી નક્કી કરાઇ છે.સરવે બાદ સરકારમાં દરખાસ્ત સરકારને મોકલી આપવામાં આવી છે. અસરગ્રસ્તોએ કહ્યું કે, દેવાસ ફલેટના ગ્રાઉન્ડ ફલોર પર આવેલા 130 મકાનોમાં નુકસાન થયું હતું. ફલેટમાં સામાન્ય કુટુંબો રહે છે. આટલું મોટું નુકસાન સહન કરી શકે તેમ નથી.