કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનથી કંટાળેલા ઘણા લોકો કોરોના મહામારીનો અંત આવે તેની રાહ જોઈ રહ્યા છે ત્યાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં ડાયરેક્ટર જનરલે ગંભીર ચેતવણી આપી છે. સાથે જ અમેરિકા પર પણ સફાઈ આપવામાં આવી છે. WHOની આ ચેતવણી બાદ ચોક્કસથી સમગ્ર વિશ્વમાં ચિંતામાં વધારો થશે.
હજુ વધુ ખરાબ સમય આવવાનો બાકી છે : WHOના ડાયરેક્ટર
માત્ર 2 કે 3 ટકા વસ્તીમાં જ કોરોના સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ
પહેલા દિવસથી જ કોરોના મુદ્દે અમેરિકાથી કંઈ જ છૂપું નથી : WHOના ડાયરેક્ટર
WHOના પ્રમુખે ચેતવણી આપી
કોરોના વાયરસનાં કારણે વિશ્વભરમાં હાહાકાર વચ્ચે અમેરિકા અને ચીન એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. અમેરિકા તો WHO પર જ ભેદભાવનો આરોપ લગાવી રહ્યું છે. વાયરસના કારણે અત્યાર સુધી લાખો લોકો સંક્રમિત છે તથા દર બીજો કે ત્રીજો દેશ અત્યારે લોકડાઉનમાં છે ત્યાં જો કોઈને એમ લાગતું હોય કે લોકડાઉન બધું સામાન્ય થઇ જશે તો WHOના પ્રમુખે ચેતવણી આપી છે.
'કોવિડ-19 મહામારીનું ખરાબ સ્વરૂપ જોવા મળશે'
નોંધનીય છે કે કોરોના વાયરસ મહામારી વચ્ચે એક નવો ડેટા સામે આવ્યો છે જેમાં સામે આવ્યું છે કે સમગ્ર વિશ્વમાં માત્ર 2 કે 3 ટકા વસ્તીમાં જ કોરોના વાયરસ સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ છે. જે બાદ WHOના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ગીબ્રિયેસસે કહ્યું કે, હજુ વધુ ખરાબ સમય આવવાનો બાકી છે અને ખરાબ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે અને દુનિયામાં કોવિડ-19 મહામારીનું ખરાબ સ્વરૂપ જોવા મળશે.
લોકડાઉન હટાવશો નહીં
વિશ્વના દેશોને લોકડાઉન હાલ હટાવવામાં ઉતાવળ ન કરવાની સલાહ આપતાં કહ્યું કે પરિસ્થિતિ 1918નાં ફ્લૂ જેવી બનતી જઈ રહી છે, જેમાં 5 કરોડ લોકોનાં મોત થયા હતા.
અમેરિકા પર આપી સફાઈ
નોંધનીય છે કે વિશ્વની મહાસત્તા અમેરિકા હાલના સમયમાં WHO થી નાખુશ છે તથા કોરોના વાયરસ મહામારીમાં ચીનતરફી હોવાનું કહી ડોનાલ્ડ ટ્રમ્પે WHOનું ફંડિંગ પણ બંધ કરી દીધું છે જેના પર પ્રમુખે કહ્યું કે WHOમાં કૉઈ રહસ્ય નથી અને પહેલા દિવસથી જ કોરોના વાયરસ મુદ્દે અમેરિકાથી કંઈ જ છૂપું નથી.
WHOએ કહ્યું પૂરાવાઓ પરથી કહી શકાય વાયરસ પ્રાણીઓમાંથી જ આવ્યો છે
એક તરફ જ્યાં પ્રમુખે આ જવાબ આપ્યો ત્યાં WHOનાં પ્રવક્તાએ પણ અમેરિકાને ઝટકો આપ્યો. નોંધનીય છે કે ઘણા સમયથી અમેરિકામાં કોરોના વાયરસ મુદ્દે ચીનને લઈને ખૂબ ચર્ચા છે. અમેરિકાથી આવતા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કોરોના વાયરસ પર ચીનની એક લેબમાં સંશોધન ચાલી રહ્યું હતું અને તે લેબમાંથી જ આ વાયરસ ફેલાયો છે જેનાં પર WHOના પ્રવક્તા Fadela Chaib એ મંગળવારે કહ્યું હતું કે વર્તમાનમાં જે પૂરાવા છે તેનાથી સાફ છે કે કોરોના વાયરસ પ્રાણીઓમાંથી જ ઉત્પન્ન થયો છે અને લેબમાં બન્યો નથી. જોકે તે વાયરસ માણસોમાં કઈ રીતે આવ્યો તે રહસ્ય હજુ સુધી અકબંધ છે.