દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરાયા બાદ કંપનીએ મનમાની ચલાવી ખેડૂતોના સેમ્પલ રિજેક્ટ કર્યા હોવાની ખેડૂતોમાં રાવ ઉઠી છે. જેને લઈને ખેડૂતોમાં રોષે જોવા મળી રહ્યો છે. APMC ભાટિયામાં માત્ર 2 ખેડૂતોના મગની ખરીદી થઇ શકી હોવાથી અનેક સવાલો ઊભા થયા છે.
સારા ક્વોલિટીના મગ રિજેક્ટ કરાતા હોવાનો ખેડૂતોનો દાવો
દેવભૂમિ દ્વારકાના ભાટિયમાં મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઇ છે. સરકાર દ્વારા મણ દીઠ રૂ.1455 ભાવે માંગની ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ કંપની મનમાંની ચલાવતી હોવાના આરોપ ખેડૂતો કરી રહ્યા છે. આથી ટેકાના ભાવની ખરીદીના બીજા દિવસે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર સારા ક્વોલિટીના મગ પણ એનકેન કારણ ધરીને રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે. ઈંડિયાગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની દ્વારા સેમ્પલને નાપાસ કરવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
APMC ભાટિયામાં માત્ર 2 ખેડૂતોના મગની થઈ શકી છે ખરીદી
નવાઈની વાત તો એ છે કે ભાટિયા APMCમાં આજે બીજા દિવસે 12 ખેડૂતો પોતાના મગ વેચવા આવ્યા હતા. જે 12 ખેડૂતોમાંથી 10 ખેડૂતોના સેમ્પલ રિજેક્ટ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા એન માત્ર 2 ખેડૂતોના મગની ખરીદી થઇ શકી હતી. આથી બાકીના ખેડૂતો ટ્રેક્ટર સહિતના ભાડા ખર્ચવા અને સસ્તામાં પોતાની જણસ વેચવા મજબૂર બન્યા હતા. તો ખેડૂતોના આર્થિક નુકસાન માટે કોણ જવાબદાર ? તેવો પણ સવાલ ઊભો થયો છે. વધુમાં આ મામલે ખેડૂતો રોષે ભરાતા સેમ્પલ લેતી કંપનીના કર્મચારીઓને ભીંસ પડી હતી.જેંને પગલે કર્મચારીઑ રફુચક્કર થઇ ગયા હતા. આથી ખેડૂતો સાથે ટેકાના ભાવે કરાતી મજાક ક્યારે અટકશે અને કયા ધારાધોરણ મુજબ ખેડૂતોના સેમ્પલ રિજેક્ટ કરાયા ? જો કારણ યોગ્ય હોય તો કંપનીના પ્રતિનિધિઑ કેમ ખેડૂતોને જવાબ આપવાથી ભાગી રહ્યા છે? તેવા અનેક સવાલો લોકોમાંથી ઉઠી રહ્યા છે.