ગત વર્ષે ઓછા વરસાદના કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થયો છે. ધરોઇ ડેમમાં માત્ર 19 ટકા પાણીનો જથ્થો બાકી રહ્યો છે. હાલમાં ડેમની સપાટી 7 વર્ષની સૌથી નીચી સપાટી નોંધાઈ છે. આ પહેલા 19 ટકાથી નીચેની સપાટી 7 વર્ષમાં ક્યારેય પણ દેખાઈ નથી. હાલમાં ડેમના તળિયા દેખાઈ રહ્યા છે.
પીવા માટે જુલાઈ સુધી પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનો અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. મહત્વનુ છે કે, 180 ચોરસ કિલોમીટરની ત્રિજ્યામાં ધરોઈ ડેમ ફેલાયેલો છે. આ ડેમમાંથી ઉત્તર ગુજરાતના 14 લાખ 50 હજાર લોકોને પીવા માટે પાણી આપવામાં આવે છે. આ ડેમમાંથી 8 મોટા શહેર અને 870 ગ્રામ્ય વિસ્તારને પાણી પુરૂ પાડવામાં આવે છે.
ગત વર્ષે ઓછા વરસાદના કારણે સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવ્યુ છે. તેમ છતા આ વર્ષે જુલાઈ સુધી જ પીવાનુ પાણી મળી શકે છે. આમ છેલ્લા 7 વર્ષમાં ધરોઇ ડેમમાં પાણીની સપાટી પ્રથમ વખત 20 ટકાની અંદર નોંધાઇ છે. હાલમાં ધરોઇ ડેમમાં 6111 એમસીએફટી જેટલો પાણીનો જથ્થો છે. આમ બીજા શબ્દોમાં કહીએ તો ડેમનું જળસ્તર તળીયે પહોંચી ગયું છે. જેમાંથી ડેડ સ્ટોકનો જથ્થો બાદ કરીએ તો માત્ર 12 ટકા જ પાણીનો ઉપયોગ થઇ શકે તેમ છે.
કાળઝાળ ઉનાળાના કારણે રાજ્યમાં પીવાના પાણીનું સંકટ ઘેરાયું છે. ત્યારે સમગ્ર પરિસ્થિતિને લઇને ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં પાણી અને ઘાસચારાને લઇને બેઠક યોજાઈ હતી. સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનને ફરી વેગવંતું બનાવવા માટે નિર્દેશ આપ્યા હતા.