બાળકોની સંખ્યા સામે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફની અછત
દર મહિને વોર્ડમાં દાખલ થાય છે 250થી 300 બાળકો
સુરતની સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં બાળ દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. તો બીજી બાજુ બાળ દર્દીઓની સંખ્યા સામે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફની અછત જોવા મળી રહી છે. દર મહિને પીડિયાટ્રિક વોર્ડમાં 250થી 300 બાળકો દાખલ થાય છે. બાળકોની સારવાર માટે માત્ર 12 ડૉક્ટરો અને 7 નર્સિંગ સ્ટાફ છે. જે 50થી 60 દાખલ દર્દીઓની સારસંભાળ લે છે. પીડિયાટ્રિક વિભાગમાં હજુ 12 રેસિડેન્ટ ડૉક્ટર અને 8 નર્સિંગ સ્ટાફની ઘટ વર્તાઇ રહી છે.
તબીબો 7 વિભાગમાં કામ કરવા મજબૂર
તબીબ સંગીતા પ્રજાપતિએ જણાવ્યું કે, 'અમારા ડૉક્ટરોને એનઆઈસીયુ, કોરોના બિલ્ડીંગ, ટ્રોમા સેન્ટર, પીઆઈસીયૂ, ઓપીડી અને અન્ય 2 વોર્ડમાં ફરજ બજાવવા સતત જવું પડે છે. હાલમાં 12 ડૉક્ટરોને રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની સારવાર કરવા માટે સાતેય વિભાગમાં રાઉન્ડ લેવા પડે છે. જેના કારણે ડૉક્ટરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સાથે નર્સિંગ સ્ટાફની પણ અમારા વિભાગમાં અછત છે. દર 3થી 4 બાળકોએ 1 નર્સિંગ સ્ટાફ હોવો જોઈએ પણ હાલ અમારી પાસે માત્ર 7 નર્સિંગ સ્ટાફ છે અને વધુ 7થી 8 નર્સિંગ સ્ટાફની જરૂરિયાત છે.
હાજર ડૉક્ટરોને ડબલ કામગીરી કરવી પડી રહી છે: તબીબ
પીડિયાટ્રિક વિભાગના ડૉક્ટર સંગીતા પ્રજાપતિએ જણાવ્યું કે, હાલ 12 રેસિડેન્ટ ડૉક્ટરોની ઘટ છે અને 8 નર્સિંગ સ્ટાફની ઘટ છે. ગયા વર્ષે કોરોનાના કારણે પ્રવેશ ન થઈ શકતાં આખી એક બેચ આવી શકી નથી. જેથી પીડિયાટ્રિક વિભાગમાં ડૉક્ટરની અછત જોવા મળી રહી છે અને હાજર ડૉક્ટરોને ડબલ કામગીરી કરવી પડી રહી છે.