દેશની અર્થવ્યવસ્થાને સાયબર ક્રાઈમ કરતા ઠગ સતત મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. દિન-પ્રતિદિન ઑનલાઈન છેતરપિંડીના કેસ વધતા જાય છે. કેન્દ્રિય નાણા મંત્રાલયે રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ (RTI) હેઠળ આપેલા જવાબમાં ઑનલાઈન છેતરપિંડી અંગે અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.
રિઝર્વ બેન્કે જાણકારી આપી હતી કે, વર્ષ 2016થી લઈને જૂન, 2019 સુધીમાં 1,76,423 લોકો સાથે કુલ 6.96 અબજ રૂપિયાથી પણ વધુની ઑનલાઈન છેતરપિંડી આચરવામાં આવી છે. નાણા મંત્રાલયે આરટીઆઈને રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ના જનસૂચના અધિકાર વિભાગને મોકલી આપી હતી. આરબીઆઈએ કેટલાક સવાલોના ગોળગોળ જવાબો આપ્યા હતા, પરંતુ ઑનલાઈન છેતરપિંડીના છેલ્લા 3 વર્ષના આંકડાઓની જાણકારી આપી હતી.
સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 87,956 લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈને તેમની સાથે થયેલી છેતરપિંડીની વિધિવત ફરિયાદ નોંધાવી છે, જ્યારે 88,467 લોકો એવા પણ છે, જેમની સાથે છેતરપિંડી થઈ છે પણ તેમણે ફક્ત બેન્કને આ અંગે જાણ કરીને વધુ કોઈ કાર્યવાહી કે પોલીસ ફરિયાદ કરી નથી.
ઑનલાઈન છેતરપિંડીના આંકડા દેશમાં દર વર્ષે સતત વધતા જાય છે અને આ માટે લોકોમાં ઓછી જાગૃતિને જવાબદાર ગણવામાં આવે છે. રિઝર્વ બેન્કના આંકડાઓ પર એક નજર કરીએ તો, વર્ષ 2016-17માં દેશભરમાં 4559 લોકો ઑનલાઈન ચિટિંગનો શિકાર બન્યા હતા. તેમાંથી 3187 લોકોએ જ એફઆઈઆર નોંધાવી હતી. વર્ષ 2017-18માં આ આંકડામાં 15 ગણો વધારો જોવા મળ્યો હતો. 72,205 લોકો સાથે ઑનલાઈન છેતરપિંડી થઈ, પરંતુ માત્ર 37,414 લોકોએ જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આરબીઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોકો તેમની સાથે ઑનલાઈન છેતરપિંડી થાય ત્યારે સમય બગાડ્યા વગર તુરંત પોલીસનો સંપર્ક કરે અને ફરિયાદ નોંધાવે તો આ પ્રકારના કિસ્સાઓ ઘટી શકે છે અને આરોપીઓ સુધી પહોંચી શકાય છે.