એક તરફ ગુજરાતમાં કોરોના આફત બનીને વરસી રહ્યો છો તો બીજી તરફ ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવા ઉઘરાણીનો વિવાદ હજી ઓછો થતો નથી ત્યારે ફરી એકવાર ખાનગી શાળા સંચાલક મંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેતા ફરી મામલો ગરમાયો છે.
રાજ્યભરની ખાનગી શાળાઓ ફરી દાદાગીરી પર ઉતરી આવી
ઓનલાઈન શિક્ષણ માટે ફી નહીં ભરનારને નહીં મળે શિક્ષણ
10 ડિસેમ્બરથી ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની કરી જાહેરાત
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, ગુજરાત સરકારે રાજ્યના વિદ્યાર્થીઓને કોરોનાકાળે ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે ફીમાં 25 ટકા માફી આપ્યા બાદ પણ વાલીઓ અને સંચાલકો વચ્ચે ફીના મુદ્દે ચાલતો વિવાદ શમવાનું નામ લેતો નથી ત્યારે ખાનાગી શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓનું ઓનલાઇન પ્રશિક્ષણ આપવાનું બંધ કરાવનું નક્કી કર્યું છે. તેમણે આ નિર્ણય આગામી 10 ડિસેમ્બરથી લાગુ થશે તેવી સત્તાવાર રીતે જાહેરાત પણ કરી હતી.
ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખે કરી જાહેરાત
આ મામલે ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખે કહ્યું વાલીઓ ફી ભરવા મુદ્દે કોઇપણ પ્રકારનો જવાબ આપી રહ્યા નથી. આપને જણાવી દઇએ કે, આજરોજ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે એક પ્રેસકોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને રાજકોટની સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળે ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું 10મી ડિસેમ્બરથી ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી.
કોરોના મહામારીને કારણે નોકરી-ધંધા-ઉદ્યોગોને થયું છે નુકસાન
આપને જણાવી દઇએ કે, ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે મોટા ભાગના નોકરી-ધંધા અને ઉદ્યોગોને નુકસાન પહોંચ્યું છે. લૉકડાઉન થવાને કારણે ઘણા લોકોએ નુકસાની વેઠવાનો વારો આવતા આવક ઘટી ગઇ છે અથવા બંધ થઇ છે ત્યારે ખાનગી શાળામાં ભણતા બાળકોની ફીને લઇને પણ સવાલો થયાં છે. તો કેટલાક વાલીઓની સ્થિતિ એવી પણ છે કે, તેઓ પોતાના સંતાનની ફી ભરી શકે તેમ નથી. જો કે, આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે, એક વર્ષ દરમિયાન ગમે ત્યારે વાલી પોતાના બાળકની ફી ભરી શકે છે.
વાલીઓને ધમકાવવાની ઘટનાઓ પણ આવી છે પ્રકાશમાં
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે બધુ ઠપ્પ પડ્યું હોવાથી આવકના સ્ત્રોત ઘટી ગયા છે અને વાલીઓ પાસે ખાનગી શાળાઓની તોતિંગ ફી ભરવા માટેના રૂપિયા નથી ત્યારે શાળા સંચાલકો ફી ભરવા માટે ખુલ્લેઆમ ગુજરાતના વાલીઓને ફોન કરીને ધમકાવતા હોય તેવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. જો કે, એક બાબત એવી પણ છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાથી આ પ્રકારની વાલીઓને ખોટી રીતે કનડગતની ઘટનાઓ ચાલુ છે તેમ છતાં રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ આંખ આડા કાન કરી રહ્યો છે.