ગુજરાત શિક્ષણ વિભાગમાંથી તમામ શિક્ષકોની ઓનલાઇન હાજરી પૂરવા માટે દરેક શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે. સર્વપ્રથમ સરકારી શાળાઓ, ત્યાર બાદ ગ્રાન્ટેડ શાળાઓ અને હવે સ્વનિર્ભર-ખાનગી શાળાઓને પણ શિક્ષકોની ઓનલાઇન હાજરી પૂરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
પરંતુ તેનો ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે બહિષ્કાર કર્યો છે. તેને પગલે શિક્ષણ વિભાગ અને સ્વનિર્ભર સંચાલક મંડળ સામસામે આવ્યા છે. રાજ્યભરમાં અંદાજે 16000 થી વધારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્વનિર્ભર શાળાઓ છે, પરંતુ આ શાળાઓના શિક્ષકોની ઓનલાઇન હાજરીના આદેશનો અમલ થતો નથી.
શિક્ષણ વિભાગ સાથે કરી બેઠક
મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ કહ્યું હતું કે અમે શિક્ષણ વિભાગ સાથે બેઠક કરી હતી અને ચર્ચા વિચારણા બાદ અમે સરકારનો આદેશ સ્વીકારવાનો ઇનકાર કરીએ છીએ.
કારણ કે શિક્ષકોની હાજરી અને પ્રામાણિકતાની દેખરેખ રાખવાની તમામ જવાબદારી જે તે શાળાના સંચાલકની છે. તેથી અમે આ બાબતે વિભાગને કોઇ સહકાર આપીશું નહીં. આગામી સમયમાં આ નિર્ણય મુદ્દે શિક્ષણ વિભાગ શું કડક પગલાં લે છે તે જોવાનું રહ્યું.