દેશમાં ડુંગળીના વધેલા ભાવે લોકોની આંખમાં આંસુ લાવી દીધા હતા. જો કે ડુંગળીના ભાવો ઘટવાના સમાચારથી પણ દેશની ચિંતા ઘટી નથી. ખોરાકમાં આવશ્યક એવી ખાંડના ભાવો વધે તેવી શક્યતા છે. આ સંજોગોમાં ખાંડ 'કડવી' થવા જઈ રહી છે તેમ કહી શકાય.
ડુંગળી અને દાળના વધતા જતા ભાવમાંથી હવે ટૂંક સમયમાં રાહત મળશે, પરંતુ ખાંડ હવે વધુ મોંઘી થશે. ગ્રાહક મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર પાસે દાળનો પૂરતો બફર સ્ટોક છે અને તેમાંથી ૮.૫ લાખ મેટ્રિક ટન દાળ ઓપન માર્કેટમાં વેચવામાં આવશે. તેથી તેના ભાવ હવે ઘટશે, પરંતુ આ વર્ષે દેશમાં ખાંડનું ઉત્પાદન ૧૫ ડિસેમ્બર સુધી ૩૫ ટકા જેટલું ઘટીને ૪૫.૮ લાખ ટન પર આવી ગયું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શેરડીનું ઉત્પાદન ઘટવાથી આવું થયું છે.
ખાંડનું ઓછું ઉત્પાદન જવાબદાર
ખાંડ મિલોના ટોચના સંગઠન ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશને આવી જાણકારી આપી હતી. ખાંડનું માર્કેટિંગ વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર હોય છે. ગત માર્કેટિંગ વર્ષ દરમિયાન ખાંડનું ઉત્પાદન ૭૦.૫ લાખ ટન હતું, જે હવે ઘટીને ૪૫.૮ લાખ ટન થઇ ગયું છે અને તેથી ખાંડના ભાવમાં વધારો થશે, કારણ કે બજારમાં ખાંડનો સપ્લાય ઘટી જશે.
ખાંડ ઉપરાંત બજારમાં આવક ઘટવાના કારણે બટાકાના ભાવ બમણા થઇ ગયા છે. મહાનગરમાં બટાકા ૪૦ રૂપિયે કિલો વેચાઇ રહ્યાં છે, જોકે ૧૦ દિવસ બાદ ભાવ ઘટવાની શક્યતા છે.