મુંબઈના દરિયાકાંઠેથી 50 નોટીકલ માઈલ દૂર હેલીકોપ્ટર તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં મહેસાણાના ONGC ઓફિસર સહિત ચાર વ્યક્તિઓના મોત થાયનું સામે આવ્યું છે.
બોમ્બે હાઈ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતા દુર્ઘટના
મહેસાણાના ONGC ઓફિસરનું હેલિકોપ્ટર ક્રેશ થતા મૃત્યુ
મહેસાણાના મુકેશ પટેલ બોમ્બે હાઈમાં બજાવતા હતા ફરજ
મુંબઈના દરિયાકાંઠેથી 50 નોટીકલ માઈલ દૂર પવન હંસ હેલીકોપ્ટર તૂટી પડવાની દુર્ઘટના સર્જાઇ હતી જેમાં ONGCના ત્રણ કર્મચારીઓ સહીત ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા. આ દુર્ઘટનામાં મૃતક પૈકી એક અધિકારી મહેસાણાના હોવાનું સામે આવ્યુ છે. મહેસાણાના ONGC ઓફિસર મુકેશ કે. પટેલનું હેલિકોપ્ટર ક્રેશ થતા મૃત્યુ નીપજ્યું હતું. નોંધનીય છે કે, મૂળ મહેસાણાના વતની મુકેશ કે. પટેલ બોમ્બે હાઈમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેઓ હેલિકોપ્ટર મારફતે ફરજ સ્થળે જઈ રહ્યા હતા તે વેળાએ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ONGC ઓફિસર મુકેશ કે. પટેલનું નિધન થતાં મહેસાણા પંથકમાં આ અંગેના સમાચાર મળતા પંથકમાં શોકનો મહોલ છવાયો છે.
શુ હતી સમગ્ર ઘટના
મુંબઈના પશ્ચિમમાં ઓયલરી સાગર કિરણની પાસે પવન હંસ કંપનીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં ચાર લોકોના મોત થયા છે તથા પાંચ લોકોને બચાવી લેવાયા છે. ઘાયલોની હાલમાં સારવાર ચાલી રહી છે. હેલિકોપ્ટરમાં કુલ 9 લોકો સવાર હતા જેમાંથી પાંચને બચાવી લેવાયા છે અને બાકીના ચારના મોત થયા છે.
અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ
ઓએનજીસીના પવન હંસ હેલિકોપ્ટરનું મુંબઇ નજીક અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ક્રૂના બે પાઇલટ અને સાત મુસાફરો સવાર હતા. ઘટના સ્થળે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કોસ્ટ ગાર્ડના જહાજને ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવ્યું હતું. ઓએનજીસીના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. અન્ય પાંચની સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટના મુંબઈના પશ્ચિમમાં ઓઈલ રિગ સાગર કિરણ પાસે બની હતી. હેલિકોપ્ટરે મુંબઈ સમુદ્રથી 47નોટિકલ માઇલ પશ્ચિમમાં ઓઇલ રિગ સાગર કિરણ નજીક ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.
હેલિકોપ્ટરમાં સવાર હતા છ કર્મચારીઓ
હેલિકોપ્ટરમાં બે પાઇલટ ઉપરાંત છ ઓએનજીસીના કર્મચારીઓ સવાર હતા અને એક કંપની માટે કામ કરતા કોન્ટ્રાક્ટરનો હતો. હાલ તો ઈમરજન્સી લેન્ડિંગ કયા સંજોગો સર્જાયા તે હજુ સ્પષ્ટ થયા નથી. ઓએનજીસી પાસે અરબી સમુદ્રમાં અનેક રિગ્સ અને ઇન્સ્ટોલેશન્સ છે જેનો ઉપયોગ દરિયાઇ સપાટીની નીચે સ્થિત જળાશયોમાંથી તેલ અને ગેસ બનાવવા માટે થાય છે. બચાવ કામગીરી દરમિયાન કોસ્ટગાર્ડના વિમાને હેલિકોપ્ટરના મુસાફરોને બચાવવા માટે જીવનરક્ષક તરાપા છોડ્યા હતા. આ એમઆરસીસી દ્વારા મંજૂર કરાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની સલામતી જાળ છે.