તા. ૩૦ એપ્રિલ સુધી વન ટાઇમ સેટલમેન્ટ યોજનાનો લાભ મળશે, તેવી જાહેરાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા કરાઈ છે. તંત્રને વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ રૂ. ૧૮૭૬ કરોડની આવક થઈ
30 એપ્રિલ સુધી વન ટાઇમ સેટલમેન્ટ યોજનાનો લાભ મળશે
એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ સ્કીમ હેઠળ 15 ટકા સુધીની રાહત મેળવો
કોર્પોરેશન હદના નવા વિસ્તારોમાં 25 ટકાની રાહત અપાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોએ આ વખતે એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ સ્કીમ હેઠળ કરદાતાઓને તંત્રના ઇતિહાસમાં પહેલી વખત 15 ટકા સુધીનું આર્થિક વળતર પ્રોપર્ટી ટેક્સ બિલમાં આપીને લાખો કરદાતાઓને ખુશખુશાલ કરી દીધા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટનો આ પ્રજાલક્ષી નિર્ણય આગામી અઠવાડિયાથી અમલમાં મુકાઈ જશે. આજથી નવા નાણાકીય વર્ષ 2023-24નો પ્રારંભ થયો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ.9482 કરોડનું સુધારિત બજેટ મંજૂર કરાયું છે. મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસનના રૂ. 8400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં ચેરમેન બારોટ દ્વારા રૂ.1082 કરોડનો વધારો કરાયો છે, જેમાં વિકાસનાં કાર્યો પાછળ વધુ રૂ.474.91 કરોડ ખર્ચાશે, જ્યારે રેવન્યૂ ખર્ચ પેટે વધુ રૂ.607.08 કરોડની ફાળવણી કરાઈ છે.
પ્રોપર્ટી ટેક્સધારકોને 15 ટકા સુધીનું આર્થિક વળતર
ચેરમેન હિતેશ બારોટના સુધારિત બજેટમાં ઇતિહાસમાં પહેલી વખત પ્રોપર્ટી ટેક્સધારકોને 15 ટકા સુધીનું આર્થિક વળતર આપીને તેમને રાજીના રેડ કરી દેવાયા છે, જે મુજબ એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ સ્કીમમાં અગાઉ દસ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું તેના બદલે હવે પ્રોપર્ટી ટેક્સધારકોને બે ટકા વધુ એટલે કે હવે 12 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. ઓનલાઇન એડ્વાન્સ પેમેન્ટ કરનારને વધુ એક ટકો મળીને કુલ 13 ટકાનું ડિસ્કાઉન્ટ અપાશે.
કુલ 14 ટકા ડિસ્કાઉન્ટ પ્રોપર્ટી ટેક્સ બિલમાં અપાશે
જે કરદાતાએ સળંગ ત્રણ વર્ષ સુધી મ્યુનિ. તિજોરીમાં એડ્વાન્સમાં ટેક્સ ભર્યો છે તેવા પ્રામાણિક કરદાતાને વધુ પ્રોત્સાહિત કરવા માટે એડ્વાન્સ ટેક્સ પેટે 12 ટકા વત્તા વધુ બે ટકા મળીને કુલ 14 ટકા ડિસ્કાઉન્ટ પ્રોપર્ટી ટેક્સ બિલમાં અપાશે. જો કરદાતા એડ્વાન્સ પેમેન્ટને ઓનલાઇન કરે તો વધુ એક ટકો એમ કુલ 15 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ યોજનાનો લાભ તા.05 એપ્રિલ સુધીમાં કરદાતાને મળતો થઈ જશે.
આની સાથે આજથી પ્રોપર્ટી ટેક્સમાં આંશિક વધારો પણ અમલમાં આવી ગયો છે. રહેણાક મિલકતોનો પ્રોપર્ટી ટેક્સનો દર પ્રતિ ચોરસ મીટર રૂ.16ના બદલે રૂ.20નો થયો છે તો કોમર્શિયલ મિલકતો માટે પ્રોપર્ટી ટેક્સનો દર પ્રતિ ચોરસ મીટર રૂ.28ના બદલે રૂ.34નો થયો છે. જ્યારે તંત્ર દ્વારા પ્રોપર્ટી ટેક્સના લેટિંગ રેટના દરમાં દર વર્ષે સૂચવાયેલા પાંચ ટકાના વધારાને બદલે ભાજપના સત્તાધીશોએ તેમાં અંશતઃ વધારો કરતાં દર વર્ષે બે ટકાનો વધારો પણ આજથી અમલમાં મુકાઈ ગયો છે.
જોકે વાહનવેરાના દર યથાવત્ રખાયા છે તેમજ તમામ પ્રકારનાં ઈલેક્ટ્રિક વાહનોને ભાજપના સત્તાવાળાઓ દ્વારા 100 ટકા રાહત અપાઈ છે. આ ઉપરાંત જૂના ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન દરને પણ ચેરમેન બારોટે જાળવી રાખ્યા છે. શાસક પક્ષે ઇમ્પ્રૂવમેન્ટ ચાર્જમાં પણ તંત્રે સૂચવેલા ચાર્જમાં આંશિક વૃદ્ધિ કરી નાગરિકોને ભારે રાહત આપી છે. ખાસ તો ત્રણ વર્ષ સુધી નવી જંત્રીનો અમલ મોકૂફ રાખીને ચેરમેન બારોટે લોકોની પ્રોપર્ટી ટેક્સ બિલની રકમમાં જંગી વધારો થવાની ભીતિને નેસ્તનાબૂદ કરી દીધી છે.