સમગ્ર ભારતમાં કાલે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે અને એક દિવસ પૂર્વે એટલે કે આજે ભાઈ ને બહેન રાખડી બાંધી ને ઉજવે છે. રક્ષાબંધન એક દિવસ પહેલા રક્ષાબંધન મનાવવા પાછળનું કારણ આપ જાણશો તો દંગ રહી જશો.
પાલનપુરથી આઠ કી.મી. દુર આવેલ પાલનપુર તાલુકાનું ચડોતર ગામમાં આજે આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા ૨૦૦ વર્ષથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન મનાવવામાં આવે છે.
ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકશાન થયું હતું તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે ગ્રામજનોએકત્ર થઈને ગામના પુજારી પાસે ગયા ત્યારે પુજારીએ ચડોતર ગામની સુખ અને સલામતીના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ આગાઉ ભાઈને રાખડી બાંધવાનું સુચન કર્યું હતું. ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામની યથાવત છે.
ભયંકર રોગચાળાના કારણે મોટા પ્રમાણમાં લોકો અને પશુઓના મોત નિપજ્યા હતા. જેના કારણે ગામના લોકો ગભરાઈ ગયા હતા અને ગામના શિવજીના મંદિરમાં એક તપસ્વી સંત પાસે ગયા અને પુરી વાત કરી જેના કારણે પુજારીએ કહ્યું કે આખા ગામમાંથી દૂધ ભેગું કરો અને આખા ગામના દરેક ખૂણે-ખૂણે છાંટી દો જેથી ગામના લોકોએ દૂધ ભેગું કરીને આખા ગામમાં છંટકાવ કર્યો જેના કારણે થોડી જ વારમાં બધુજ શાંત થઈ ગયું.
ત્યારબાદ સંતે કહ્યું કે આજ પછી હવે રક્ષાબંધનના દિવસે આપડા ગામમાં કોઇ બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધે નહી ત્યારથી લઈને આજ દિન સુધી ચડોતર ગામમાંની એક પણ બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી નથી.