ગુજરાતની ધરતી પર મંદિર અને યાત્રાધામોનું ખુબ જ મહત્વ છે. ગુજરાતમાં ઘણા ધાર્મિક સ્થળો છે. જેમ કે આરાસુરના ડુંગરે અંબાજી તો ચોટીલાના ડુંગરે ચામુંડા. આ ઉપરાંત પાવાગઢમાં મહાકાળી માતા બિરાજે છે. તો કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે. આજે અમે તમને જણાવશું કચ્છમાં આવેલા આ આશાપુરા માતાજીના ભવ્ય મંદિર વિશે અને તેના મહિમા વિશે.
આશાપુરા માતાને ઘણા સમુદાયના લોકો પોતાની કુળદેવી માને છે. જેમાં મુખ્યત્વે નવાનગર રાજકોટ મોરબી અને ગોંડલ વિસ્તારના ચૌહાણ અને જાડેજા વંશના રાજપૂતો કચ્છની આશાપુરા માતાજીને પોતાની કુળદેવી તરીકે પૂજે છે.
કચ્છનું આશાપુરા માતાનું ભવ્યમંદિર ભૂજથી 95 કિલોમીટર દુર 'માતાના મઢ' તરીકે પ્રખ્યાત છે. જ્યાં કચ્છના 'ગોરસ' અને 'પોલાદિયા' સમુદાયના લોકો પણ આશાપુરા માતાને પોતાની કુળદેવી તરીકે પૂજે છે.
14'મી શતાબ્દીમાં આ મંદિરનું નિર્માણ જડેજા શાસન દરમિયાન જાડેજા વંશના રાજપૂતો દ્વારા થયું હતું. જેમના વંશજો આજે પણ આશાપુરાને તેમની કુળદેવી તરીકે પૂજે છે.
આશાપુરા માતાને અન્નપૂર્ણા દેવીનો અવતાર માનવામાં આવે છે. રાજપૂતો ઉપરાંત બીજા ઘણા સમુદાયના લોકો આશાપુરા માતાજીને પોતાની કુળદેવી તરીકે પૂજે છે અને માતાજી સૌ કોઇની મનોકામના પૂર્ણ કરે છે.
પ્રાચીન કાળથી અડગ આ મંદિરને ભૂકંપથી ઘણી વાર નુકસાન થયું છે. પ્રથમ વખત 1819માં અને બીજી વખત 2001માં આવેલા ભૂકંપમાં આ મંદિરને ઘણુ નુકસાન થયું છે. આ મંદિરની અંદર 6 ફુટ ઉંચી લાલ રંગની માતાજીની મૂર્તી સ્થાપિત છે. જેના દર્શન માટે શ્રધ્ધાળુઓની સતત અવર-જવર રહે છે. જ્યારે નવરાત્રી દરમિયાન અહીં ભવ્ય ગરબાનું આયોજન થાય છે.
આશાપુરા માતાજીનો ઉલ્લેખ પુરાણોમાં અને રુદ્રયમલ તંત્રમાં પણ મળે છે. આશાપુરા માતાજીની પૂજાની શરૂઆત ક્યારે થઇ તેનો કોઇ પાક્કો પૂરાવો તો નથી મળતો પણ 9'મી શતાબ્દીમાં સિંહ પ્રાંતના રાજપૂત સમ્મા વંશના શાસનકાળ દરમિયાન આશાપુરા માતાજીની પૂજા થતી હતી. ત્યારબાદ બિજા સમુદાયના લોકોએ પણ આશાપુરા માતાની પૂજા શરૂ કરી. આ ઉપરાંત રાજસ્થાનમાં પોખરણ માંદેરા અને નાડોલમાં આશાપુરા માતાના મંદિર છે. જે ભક્તો માટે આસ્થાના કેન્દ્ર બન્યાં છે.