ભારતમાં એક તરફ વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો છે તો બીજી તરફ રૂઢીઓ અંધવિશ્વાસ જાદુ કાળો જાદુ ભૂત-પ્રેત જેવા અનેક રહસ્યો પણ છે. તેથી જ આપણને એકએકથી ચડિયાતી રહસ્યપૂર્ણ વાતો સાંભળવા મળે છે.
આખી દુનિયા જાતજાતની અજાયબીઓથી ભરેલી છે. તેથી જ અવારનવાર જાતજાતના રહસ્ય ઉજાગર થઈને આપણી સામે આવતાં હોય છે. એમાના કેટલાક રહસ્યો તો એવાં હોય છે જેના જવાબો વિજ્ઞાન પાસે પણ નથી હોતા. ઉત્તરાખંડમાં પહાડોની વચ્ચે રૂપકુંડ નામનું તળાવ આવેલું છે જે હાડપિંજરોના તળાવ તરીકે જાણીતું છે.
તમને થશે કે આવું વિચિત્ર નામ પાડવાનું કારણ શું હોઈ શકે? વર્ષ 1942માં ભારતીય વનવિભાગના એક અધિકારીએ અહીથી હાડપિંજરો શોધી કાઢ્યાં હતા.
કેટલાક લોકોનું માનવું હતું કે આ નરકંકાલ એ જાપાની સૈનિકોના હતા જે બીજા વિશ્વયુદ્ધ વખતે અહીંથી પસાર થયા હતા. તો વળી કેટલાકનું કહેવું હતું કે આ ખોપડીઓ કાશ્મીરના જનરલ જોરાવર સિંહ અને એમના સાથીઓના છે જે 1841માં તિબેટમાં યુદ્ધ કરીને પાછા ફરી રહ્યાં હતાં પણ ખરાબ વાતાવરણને લીધે મોતને ભેંટ્યાં. જોકે હકીકત આ બધાથી સાવ અલગ છે.
સંશોધનોમાં સામે આવ્યું કે આ હાડપિંજર 12થી 13મી સદીના છે. તેમ જ આ લોકો અહીંયા થયેલી ભારે હિમવર્ષાને કારણે મૃત્યુ પામ્યાં હતા. આ તારણ પછી તો વૈજ્ઞાનિકોને આ જગ્યામાં વધારે રસ પડ્યો.
જામેલા તળાવ પાસેથી મળેલાં આશરે 200 હાડપિંજરો નવમી સદીના એ ભારતીય આદિવાસીઓના છે જે બરફના તોફાનને લીધે માર્યાં ગયા હતા. સંશોધકોનું કહેવું છે કે આ લોકોના મૃત્યુ કોઈ હથિયારના લીધે નહીં પરંતુ ત્યાં આવેલા તોફાનને લીઘે થયા છે.
આ તોફાનમાં એ બધાના માથામાં પાછળની તરફ ઇજાઓ થઇ છે. ખોપડીઓમાં થયેલાં ફ્રેક્ચરના અભ્યાસમાં જાણવાં મળ્યું કે મૃતકોના માથાપર ક્રિકેટના દડાની સાઈઝના બરફના કરાં પડ્યાં હોવાથી એ લોકો મૃત્યુ પામ્યાં હતા.