રાજ્ય (Gujarat) માં રખડતા ઢોરના કારણે કેટલાકે પોતાની આંખ ગુમાવી તો કેટલાક જીવથી ગયા. ત્યારે રાજ્યમાં ઢોર પકડવાની ઝુંબેશ વચ્ચે ઢોરના કારણે આજે વધુ એક યુવકનું મોત થયું છે.
રખડતા પશુના કારણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો
ગારીયાધારમાં રખડતા પશુએ યુવકને અડફેટે લીધો
છેલ્લા એક વર્ષમાં રખડતા ઢોરથી 4,860 અકસ્માત
ગુજરાતના મહાનગરોમાં હાઇકોર્ટના આદેશ બાદ મનપા દ્વારા જાહેર માર્ગ પર રખડતા ઢોરને પકડવાની હાલ ઝુંબેશ ચાલી રહી છે. કારણ કે રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં રખડતા ઢોરથી અધધ 4,860 અકસ્માતના બનાવો સામે આવ્યા છે. જેમાં કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો કેટલાય લોકો મોતને ભેટયા હતા. એવામાં રખડતા ઢોરના કારણે આજે વધુ એક મોત થયાની ઘટના સામે આવી છે.
ભાવનગર: ગારીયાધારમાં રખડતા પશુના કારણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો, હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત#Gujarat
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2022
ગારીયાધારમાં આજે રખડતા ઢોરની અડફેટે એકનું મોત
ભાવનગરના ગારીયાધારમાં રખડતા પશુના કરણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. ગારીયાધારના ભાવેશ મકવાણા નામના યુવકને રખડતા પશુએ હડફેટમાં લેતા તેનું મોત નિપજ્યું છે. ધોળાકુવા પાસે રખડતા પશુએ યુવકને અડફેટે લીધા બાદ આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. આથી, કહી શકાય કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં તો રખડતા ઢોરનો ત્રાસ યથાવત રીતે જોવા મળી રહ્યો છે.
રખડતાં ઢોરને લીધે એક વર્ષમાં 4,860 અકસ્માતના બનાવો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રખડતા ઢોરથી છેલ્લા એક વર્ષમાં અધધ 4,860 અકસ્માતના બનાવો બન્યા છે. જેમાં કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો કેટલાય લોકો મોતને ભેટયા હતા. ત્યારે VTV ન્યૂઝ પાસે રખડતા ઢોરના ત્રાસની એક્સક્લુઝિવ માહિતી છે. ઓગસ્ટ 2021માં 314 અકસ્માત રખડતાં ઢોરને કારણે થયા હતા. જ્યારે સપ્ટેમ્બર 2021માં 372, ઓક્ટોબર 2021માં 447, નવેમ્બર 2021માં 438 ડિસેમ્બર 2021માં 375 અકસ્માત થયા હતા. જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરી 2022માં 375, ફેબ્રુઆરીમાં 359 અકસ્માત, માર્ચમાં 392 એપ્રિલમાં 465 અકસ્માત, મે મહિનામાં 444, જૂન મહિનામાં 423 જૂલાઇમાં 457 લોકો ઢોરની અડફેટે ચડ્યા હતા.
રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા પરેશાન થઇ ગઇ છે
રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા પરેશાન થઇ ગઇ છે. અવારનવાર રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટના સામે આવે છે. વડોદરામાં રખડતા ઢોરના કારણે યુવકે આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. તો જૂનાગઢમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે હાઇકોર્ટની ટકોર બાદ અંતે તંત્ર જાગ્યું અને રખડતા ઢોર પર એક્શન લેવાની શરૂ કરી છે. હાલ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ રહી છે. ઢોરપાર્ટી દ્વારા રખડતા ઢોરને પકડવામાં આવી રહ્યાં છે. જો કે આ કાર્યવાહી કેટલા દિવસ ચાલશે. કારણ કે અગાઉ પણ આવી કાર્યવાહીઓ થઇ ચૂકી છે પણ સ્થિતિ એની એ જ રહી છે.