વડા પ્રધાન નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરીએ પેટ્રોલિયમ અને માર્ગ પરિવહન મંત્રાલયના ત્રણ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન માટે પશ્ચિમ બંગાળના હલ્દિયાની મુલાકાત લેશે.
પીએમ મોદી વધુ એક વાર જશે બંગાળના પ્રવાસે
7 મી ફેબ્રુઆરીના રોજ જશે બંગાળના પ્રવાસે
પેટ્રોલિયમ મંત્રાલયની ત્રણ મહત્વની યોજનાનું કરશે ઉદ્ઘાટન
પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે માહિતી આપી હતી. હલ્દીયામાં વડા પ્રધાન ઉદઘાટન કરશે તેવા પ્રોજેક્ટ્સની કિંમત આશરે 5000 કરોડ રૂપિયા જણાવાઈ રહી છે.
ચૂંટણી અગાઉ આ પ્રોજેક્ટસની જાહેરાત મહત્વની મનાઈ રહી છે
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની આ મુલાકાત અને આવા પ્રોજેક્ટ્સની ભેટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહત્વનું છે કે બંગાળમાં એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી થવાની સંભાવના છે અને ભાજપે આ ચૂંટણીમાં 200 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.
15 દિવસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ બીજી બંગાળ મુલાકાત હશે. આ પહેલા પીએમ મોદી 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પ્રસંગે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. આ દરમિયાન આયોજિત કાર્યક્રમમાં વિવાદની પરિસ્થિતિ ઉભી થઈ હતી જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જય શ્રીરામની નારેબાજી પછી ભાષણ આપવાનો ઇનકાર કર્યો હતો.
મહત્વનું છે કે પીએમ મોદીના સંબોધન પહેલાં મમતા બેનર્જીએ બંગાળના મુખ્યમંત્રી તરીકે ભાષણ આપવાનું હતું. પરંતુ તે સ્ટેજ પર ભાષણ આપવા ઉભા હતા ત્યારે સામે બેઠેલા લોકોએ ભગવાન રામના નામનો નારા લગાવવાના શરૂ કરી દીધા હતા. આ સૂત્રોચ્ચાર સાંભળીને મમતા બેનર્જીએ નારાજગી વ્યક્ત કરતાં ભાષણ આપવાનો ઇનકાર કરી દીધો.
થોડા દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહનો પ્રવાસ રદ્દ કરાયો હતો
બીજી તરફ, શુક્રવારે બે દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહ રાત્રે 11 વાગ્યે કોલકાતા પહોંચવાના હતા, પરંતુ દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક IED વિસ્ફોટ બાદ સુરક્ષાને કારણે તેમની મુલાકાત મુલતવી રાખી હતી. બંગાળ પહોંચ્યા બાદ અમિત શાહના શનિવાર અને રવિવારના કાર્યક્રમો પૂર્વનિર્ધારિત હતા. શાહ રવિવારે બપોરે હાવડા જિલ્લામાં પાર્ટીની રેલીમાં TMCના નારાજ નેતાઓનું સ્વાગત કરવાના હતા.
જો કે શાહની મુલાકાત રદ થયા પછી, તૃણમૂલ કોંગ્રેસના પાંચ નેતાઓને શનિવારે બંગાળથી દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. એટલું જ નહીં, દિલ્હી લાવ્યા બાદ તેમની શાહ સાથે મુલાકાત થઈ હતી અને તે જ સમયે ભાજપનું સભ્યપદ પણ આપવામાં આવ્યું હતું.