પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને દેશની જનતા પર વધુ એક માર પડી શકે છે. જેને લઇને જનતાનું બજેટ પણ ખોરવાઈ શકે છે. એક તરફ આસમાને પહોંચેલા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે વર્લ્ડ બેંકે પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ પણ 20 ટકા જેટલો વધારો થાય તેવી શકયતા વ્યકત કરી છે.
જો આમ થશે તો ભારત પર તેની વિપરીત અસર પડશે. દેશ પોતાની ઉર્જાની જરૂરિયાતને પૂરી પાડવા માટે કોમોડિટીની આયાત પર વધુ નિર્ભર છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ક્રુડની કિંમત 2018 જ નહીં પરંતુ 2019માં પણ 65 રૂપિયા પ્રતિ બેરલ રહેવાનું અનુમાન છે.
2017માં તેની કિંમત 53 ડોલર પ્રતિ બેરલ હતી. આ રિપોર્ટમાં વર્લ્ડ બેંકના એક્ટિંગ ચીફ ઈકોનોમિસ્ટ શાંતયનન દેવરાજને કહ્યું છે કે ભાવ વધવા પાછળ વૈશ્વિક ગ્રોથ અને મજબૂત માંગ જવાબદાર છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સાઉથ એશિયાના દેશોમાં સૌથી વધુ છે.
દેશની જનતા પણ મોદી સરકાર પર મીટ માંડીને બેઠી છે કે સરકાર કયારે એકસાઈઝ ડયુટીમાં ઘટાડો કરે અને મોંઘવારીમાં રાહત મળે.
આ પૂર્વે પેટ્રોલિયમ મંત્રાલયે વર્ષની શરૂઆતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટાડવા માટે એકસાઈઝ ડયુટી ઘટાડવાની માગણી કરી હતી. જેથી ઈન્ટરનેશનલ માર્કેટમાં ઓઈલના વધતા ભાવથી ગ્રાહકોને રાહત આપી શકાય. જોકે સરકારે આ માગને નજર અંદાજ કરી દીધી હતી.
નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 દરમિયાન એકસાઈઝ ડયુટી 9 વખત વધારવામાં આવી હતી. જયારે 2017માં માત્ર એક વખત 2 રૂપિયા પ્રતિ લિટર એકસાઈઝ ડયુટી ઘટાડી હતી. કેદ્ર સરકારે પણ રાજ્ય સરકારોને પેટ્રોલ-ડીઝલ પર વેટમાં ઘટાડો કરવા કહ્યું હતું. જોકે બાદમાં માત્ર 4 રાજ્યએ જ વેટમાં ઘટાડો કર્યો હતો.