પોલીસે માધવલાલ શાહ હાઈસ્કૂલના શિક્ષકને રાઉન્ડપ કર્યો
હિંસા પહેલા મૌલવીઓ શિક્ષક સાથે બેઠક યોજી હોવાની શક્યતા
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રામનવમીના પાવન દિવસ પર ભારે જૂથ અથડામણ થઈ હતી જેમાં ખંભાતમાં એક વ્યક્તિનું કરૂણ મોત પણ થયું હતું ત્યારે આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે જેમાં ખંભાતમાં હિંસાના મામલે પોલીસે માધવલાલ શાહ હાઈસ્કૂલના શિક્ષકની સંડોવણીની આશંકાના આધારે પોલીસે ચાલુ સ્કૂલે શિક્ષકને ઉઠાવ્યો હતો.
આણંદના ખંભાતમાં હિંસાનો મામલે પોલીસે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. આજે સવારે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, ખંભાતમાં થયેલ આગચંપી અને પથ્થરમારાના બનાવો એક પૂર્વનિયોજીત કાવતરું હતું. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ કરતાં માલૂમ પડ્યું કે,આ બનાવમાં ખંભાતની માધવલાલ શાહ હાઈસ્કૂલના શિક્ષકની સંડોવણીની આશંકા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે માધવલાલ શાહ હાઈસ્કૂલના શિક્ષકને રાઉન્ડપ કર્યો
જેને લઈને પોલીસે માધવલાલ શાહ હાઈસ્કૂલના શિક્ષકનું રાઉન્ડપ કર્યુ હતું. અને પુછપરછ માટે પોલીસે શિક્ષકને ચાલુ સ્કુલેથી ઉઠાવી પોલીસ મથકે લઈને પુછપરછ હાથ ધરી હતી. આ સાથે પોલીસે સ્કૂલના CCTVનું DVR પણ જપ્ત કર્યું હતું. મહત્વનું છે કે, પોલીસને આશંકા છે કે, હિંસા પહેલા શિક્ષકે મૌલવીઓ સાથે બેઠક યોજી હતી.
મૌલવી છે સમગ્ર ઘટનાનો સૂત્રધાર
ઉલ્લેખનીય છે કે, ખંભાતમાં થયેલ આગચંપી અને પથ્થરમારાના બનાવો એક પૂર્વનિયોજીત કાવતરું હતું જેમાં મૌલવી દ્વારા તમામ ફંડિંગ અને તોફાની તત્વોને ભેગા કરવામાં આવ્યા હતા. શોભાયાત્રાની પહેલાથી જ ત્રણ મૌલવી અને 2 શખ્સોએ કાવતરું ઘડી નાંખ્યું હતું જેમાં મુસ્તકીમ મૌલવી, મતીન, મોહસીન મુખ્ય સૂત્રધાર છે જ્યારે રઝાક અયુબ, હુસૈન હાશેમશા દિવાન પણ ષડયંત્રનો ભાગ હતા.
પહેલેથી લોકોને બોલાવી પથ્થર ભેગા કરી લેવાયા હતા
તપાસમાં થયેલા ખુલાસા અનુસાર જે દિવસ સરઘસને મંજૂરી મળી હતી ત્યારથી જ આ શખ્સો તમામ પ્લાનિંગ બનાવીને બેઠા હતા અને ખંભાત બહારથી લોકોને બોલાવી લેવામાં આવ્યા હતા. રવિવારે શોભાયાત્રા હતી જ્યારે આ તત્વો શનિવારે જ રાતે એકત્રિત થઈ ગયા હતા અને પથ્થરો સહિતની વસ્તુઓ ભેગી કરીને રાખી હતી.
ખંભાતમાં તોફાનો મામલે શું થયો ખુલાસો?
- પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં બેસીને રચાયું ષડયંત્ર
- 3 મૌલવી અને 2 શખ્સ પહેલાથી જ કાવતરું ઘડી ચૂક્યા હતા
- મુસ્તકીમ મૌલવી, મતીન, મોહસીન કાવતરાના મુખ્ય પાત્રો
- રઝાક અયુબ, હુસૈન હાશેમશા દિવાન પણ ષડયંત્રનો ભાગ હતા
- લોકોને પથ્થરમારો અને આગચંપી માટે ઉશ્કેરવાનો આરોપ
- શોભાયાત્રા સમયે જ પથ્થરમારો કરીને ભડકાવવાનું કાવતરું
- ખંભાતમાં પથ્થરમારામાં એક વ્યક્તિનું થયું હતું મૃત્યુ
- સરઘસની મંજૂરી મળી તે દિવસે જ કાવતરુ ઘડાયું
- આતંકી કૃત્યને અંજામ આપવા ખંભાત બહારથી લોકોને બોલાવાયા હતા
- રવિવારે શોભાયાત્રા હોવાથી શનિવારની રાતે બધા ભેગા થયા હતા
- પથ્થરો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ એકત્રિત કરાઇ હતી
- સુયોજિત આયોજન મુજબ પહેલા પથ્થરમારો અને પછી આગચંપી
કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી
આજે મળેલી કેબિનેટની બેઠકમાં ખંભાત અને હિંમતનગરમાં થયેલી હિંસા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ ખંભાતની સ્થિતિ અંગે ખાસ ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ ખંભાતમાં શાંતિ જળવાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ હિંમતનગરમાં હાલ સ્થિતિ કાબૂમાં હોવાની પણ ચર્ચા થઈ હતી.