સુરતને વધુ એક બ્રિજની ભેટ મળવા જઇ રહી છે. નવા બ્રિજનું નિર્માણ થતા મુંબઈ - અમદાવાદ નેશનલ હાઈવે પર જવા માટે ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ
સુરત શહેરમાં વધુ એક બ્રિજ ઉમેરાશે
કતારગામના ગજેરા સર્કલથી રત્નમાલા જંકશન પર બનશે બ્રિજ
62 કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રિજ બનશે
સુરતના કેટલા નામ,ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી અને હવે સુરત બ્રિજનગરી બની ગયુ છે તે કહેવામાં કોઇ નવાઇ નહીં. કારણ કે સુરતમાં વધુ એક બ્રિજનો ઉમેરો થવા જઇ રહ્યો છે. સુરતમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે નવા એક બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. મહત્વનું છે કે સુરતમાં અંદાજિત સવા સો જેટલાં ફ્લાયઓવર ઓવરબ્રિજ/ફ્લાય આવેલા છે. જેમાં એક કેબલ સ્ટેઈડ બ્રિજ પણ આવેલો છે.
ગજેરા સર્કલથી રત્નમાલા જંક્શન પર બનશે નવો બ્રિજ
સુરત શહેરમાં કતારગામના ગજેરા સર્કલથી રત્નમાલા જંક્શન પર નવો એક બ્રિજ બનવા જઇ રહ્યો છે. જેની પાછળ અંદાજિત 62 કરોડનો ખર્ચ થશે. નવા બ્રિજનું નિર્માણ થતા હવે કતારગામ-અમરોલીને જોડતા બ્રિજ નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી થઇ જશે. મહત્વનું છે કે સુરતમાં રત્નમાલા જંકશનથી ગજેરા જંકશન પર બ્રિજ બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હતી.જેમાં અંદાજીત 82.65 કરોડ સામે એક કન્ટ્રકશન કંપની દ્વારા 62.84 કરોડની ઓફર કરવામાં આવી હતી. આ બ્રિજ બનાવવામાં 30 મહિના જેટલો સમય લાગશે. નવા બ્રિજનું નિર્માણ થતા મુંબઈ - અમદાવાદ નેશનલ હાઈવે પર જવા - આવવા માટે અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ ફ્લાયઓવર બ્રિજ આર્શીવાદ રૂપ પુરવાર થશે.
19જૂને સૌથી ઊંચા બ્રિજનું કરાયું લોકાર્પણ
સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજ સુરતનો સૌથી ઊંચો અને દેશનો સૌપ્રથમ મલ્ટી લેયર બ્રિજ છે. આ બ્રિજનું નિર્માણ રૂ.133.50 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.. આ થ્રી લેયર બ્રિજને કારણે રિંગ રોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી બનશે.આ બ્રિજની લંબાઇ 2.5 કિલોમીટર લાંબી છે. મહાનગરપાલિકા (SMC) દ્વારા સુરત-મુંબઈ વેસ્ટર્ન રેલવેલાઈન (Surat-Mumbai Western Railway) ઉપર સહારા દરવાજા રેલવે ગરનાળા ઉપર તથા સુરત-બારડોલી(Surat-Bardoli) રોડ પર કરણીમાતા જંકશન (Karnimata Junction) પર અંદાજિત રૂપિયા 133.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.