શહેરના રામોલ વિસ્તારમાં આવેલા રામરાજ્યનગરમાં સમાધાન માટે ભેગાં થયેલાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતાં મામલો બીચક્યો હતો. મારી બહેનની ખોટી વાતો કેમ ફેલાવે છે તેમ કહીને એક જ પરિવારના યુવકોએ ત્રણ યુવક પર તલવાર, છરી અને ડંડા વડે હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં એક યુવકનું મોત થયું છે જ્યારે ચાર ઘાયલ થયા છે.
સમાધાન માટે મળેલાં બે જૂથ બાખડ્યાં યુવકની હત્યા
બંને જૂથ સામે હત્યા અને હત્યાની કોશિશનો ગુનો દાખલ કરાયો
આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ
વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ત્રિલોકપાર્ક સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનું કામ કરતા શ્યામવીર રામપ્રકાશ વર્માએ રામોલ પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે ગઇ કાલે શ્યામવીરના મોબાઇલ પર તેના મિત્ર દીપક ઉર્ફે દીપુ ભક્કમનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે રામોલ રામરાજ્યનગરમાં રહેતા રૂપસિંહ ઉર્ફે લાલોની બહેનની ખોટી વાતો ફેલાવું છું તેવી શંકા રાખીને ગઇ કાલે બોલાચાલી કરી હતી. જેથી આ બાબતે ખુલાસો કરવા માટે જવાનું છે.
દીપક, શ્યામવીર અને તેનો મિત્ર સુરેન્દ્ર ચૌધરી અને મૂકેશ સહાની રાત્રે બાર વાગ્યાની આસપાસ રૂપસિંગ રાજપૂતના ઉદયનગર ખાતેના ઘર પાસે મળવા માટે ગયા હતા. જ્યાં નરેન્દ્ર ઉર્ફે પોપટસિંહ રાજપૂત તેનો ભાઇ લખન રાજપૂત, રૂપસિંગ ઉર્ફે લાલો અને સંવત કૈલાસસિંહ રાજપૂત હાજર હતા. તમામ જ્યારે ભેગા થયા ત્યારે રૂપસિંગની બહેનની ખોટી વાતો ફેલાવતો નથી તેવો ખુલાસો કરતાં મામલો બીચક્યો હતો. બન્ને પક્ષે ઉગ્ર બોલાચાલી થઇ હતી ત્યારબાદ બન્ને પક્ષે ઝપાઝપી કરાતાં મામલો ગરમાયો હતો.
દરમિયાનમાં નરેન્દ્ર તલવાર લઇને આવ્યો હતો અને દીપુના માથા પર ઘા મારી દીધો હતો. જેથી દીપુ લથ્થડિયાં ખાઇને જમીન પર ઢળી પડ્યો હતો. શ્યામવીર, સુરેન્દ્ર અને મૂકેશ તેને બચાવવા માટે વચ્ચે પડતાં લખન ડંડો લઇને આવ્યો હતો અને સુરેન્દ્રના માથા પર જોરથી ફટકો માર્યો હતો. તે સમયે રૂપસિંગ અને જશવંત લાકડાનો ડંડો લઇને આવ્યો હતો શ્યામવીર અને દીપુ ઉપર મારવા લાગ્યા હતા. હુમલાખોરો દીપુને લાકડા અને તલવારથી મારવા લાગ્યા હતા.
જ્યારે શ્યામવીરને પાછળના ભાગે ચપ્પાના ઘા માર્યા હતા. બુમાબુમ થતાં રહીશો ઊઠી ગયા હતા અને હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા તે સમયે રૂપસિંગના પિતા રણજિતસિંહ ત્યાં આવી જતા દીપુને છુટ્ટી ઇંટ મારી હતી. જે તેને માથામાં વાગતાં તે જમીન પર પટકાયો હતો. શ્યામવીરે ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જેમાં તેને અને દીપુ તેમજ સુરેન્દ્રને સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં તબીબોએ દીપુને મરણ જાહેર કર્યો હતો.
રામોલ પોલીસે નરેન્દ્રસિંહ પોપટસિંહ રાજપૂત, તેનો ભાઇ લખન રાજપૂત, રૂપસિંગ રાજપૂત, જશવંતસિંહ રાજપૂત અને રૂપસિંગના પિતા રણજિતસિંહ રાજપૂત વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે બીજી તરફ ઉદયનગરમાં રહેતા કૈલાસસિંહ રાજપૂતે દીપક ઉર્ફે દીપુ, શ્યામવીર શર્મા અને સુરેન્દ્ર ચૌધરી વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. કૈલાસસિંહના સાળાના દીકરા રૂપસિંહ, લખન તેમજ અન્ય લોકો સાથે દીપુ અને તેના મિત્રો બબાલ કરતા હતા ત્યારે તેઓ ત્યાં બબાલ શાંત કરાવવા માટે ગયા હતા.
જ્યાં દીપુ, શ્યામવીર અને સુરેન્દ્રએ તેમને લાકડીના ડંડા માર્યા હતા. જ્યારે લોખંડની એંગલ પણ માથામાં મારી હતી. જેના કારણે કૈલાસસિંહને લોહી નીકળતા તે નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત કૈલાસસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જેમાં તેમણે ત્રણેય વિરુદ્ધમાં હત્યાની કોશિશનો ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. મોડી રાત્રે સામસામે થયેલી આ બબાલમાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સામસામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મોડી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.