ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પરમુખ સી આર પાટિલનો સૌરાષ્ટ્ર પ્રવાસ ભાજપના ઘણા નેતાઓને મોંઘો પડ્યો લાગે છે. આજે ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. રૈયાણી ભાજપના છટ્ઠા એવા નેતા છે જેમણે કોવિદ પોઝીટીવ આવ્યો છે, નોંધનીય છે કે ભાજપના અમુક નેતાઓ ગરબે રમતા હોવાના વિડીયો વાયરલ થયા હતાં. જે બાદ આજેપણ કેટલાક નેતાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
ભાજપ-કોંગ્રેસના નેતા પણ થયાં સંક્રમિત
આજે વધુ એક ભાજપના નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંય દિવસોથી ભાજપ અને કોંગ્રેસના રાજકીય નેતાઓના મેળાવડાં અને ઊજવણીના દ્રશ્યો જોવા મળે છે ત્યારે એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું કોરોનાકાળમાં નિયમો માત્ર સામાન્ય માણસ માટે જ છે. શું કોરોના ખાલી સામાન્ય માણસ જ ફેલાવી શકે અને રાજકીય નેતાઓ નહીં?
24 કલાકમાં ભાજપના છ નેતાઓ કોરોનાનો શિકાર
આજે દિવસના 24 કલાકમાં ભાજપના 6 નેતાઓ કોરોનાનો શિકાર બન્યા છે. અત્યાર સુધીમાં 17 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી સંક્રમિત થઈ ચૂક્યા છે. ભાજપના નેતા અને ભારતના ગૃહપ્રધાન અમિત શાહ કોરોનાનો શિકાર બની ચુક્યા છે જ્યારે એક વખતના વડાપ્રધાન મોદીની હરોળના ગણાતા નેતા શંકરસિંહ વાઘેલા પણ કોરોના સંક્રમિત થયા હતા.
ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી પછી સુરેન્દ્રનગરના ભાજપના નેતાને પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેની સાથે સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત થયા હતા. સવારે બન્નેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બપોરે જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ પણ પોઝિટિવ આવ્યો હતો. અને ભાજપના અમદાવાદના સાસંદ કિરીટ સોલંકી પણ પોઝિટિવ આવ્યા છે.
ભાજપના ગરબાને કારણે ધારાસભ્ય થયા કોરોના પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patilનો સૌરાષ્ટ્ર પ્રવાસ ખુબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો ત્યારે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સાથીદારોમાં ફફડાટ પેસી ગયો છે. કારણ કે, ભાજપના પ્રદેશ પ્રમુખના માનમાં જે ગરબા રમાયા હતા તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને કોરોનાની મહામારીને ભૂલીને ભાજપના નેતાઓ અને કાર્યકરો મન મૂકીને ગરબે મહાલ્યા હતા એવામાં એક ધારાસભ્યનો રિપોર્ટ પોઝિટિવ આવતા અન્યોમાં ફફડાટ પેસી ગયો છે.
ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના સંક્રમિત થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ધારાસભ્ય હર્ષ સંઘવીના સંપર્કમાં આવેલા લોકોની કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરાઇ છે.
ખોડલધામમાં ધૂમધામ ઊજવણી
ભાજપ પ્રદેશ અધ્યક્ષ C R Patil ની ખોડલધામમાં રજતુતુલા યોજાઈ, ગઢડામાં ભજન, દલિતો દ્વારા પણ કાર્યક્રમો યોજાયા અને હદ તો ત્યારે થઈ જ્યારે જાહેર માર્ગ પર ગરબા યોજાયા. આ તમામ ઉજવણીઓમાં કોરોનાની મહામારી અને સરકારી ગાઈડલાઈનનું ભાજપના જ નેતાઓએ સરેઆમ ઉલ્લઘંન કર્યુ હતુ ત્યારે હવે પાટીલના ઉત્તર ગુજરાતના પ્રવાસને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે.
કોંગ્રેસે પણ નિયમોના ધજાગરા ઉડાવ્યા હતાં
જો કે એકલું ભાજપ નહીં પરંતુ વિરોધ પક્ષ કોંગ્રેસે પણ કોરોનાકાળમાં ઊજવણી કરવામાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોને નેવે મૂક્યાં હતાં. થરાદની નગરપાલિકાની જીત વખતે જે દ્રશ્યો જોવા મળ્યાં હતાં તે ભાજપ અને કોંગ્રેસ બંનેને ભાઈ-ભાઈ કહેવડાવે તેવા જ હતાં.
ઉત્તર ગુજરાતમાં પણ શું આ જ રીતે ભાજપના રાજકીય મેળાવડાઓ ઉજવાશે?
સૌરાષ્ટ્રમાં જે રીતે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને માસ્ક સુધીની ગાઈડલાઈનના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે એ જ રીતે શું ઉત્તર ગુજરાતમાં પણ કાર્યક્રમો યોજાશે? ત્યારે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે આ રાજકીય પ્રવાસ જરૂર પોઝિટિવ પુરવાર થશે પણ કોરોના પોઝિટિવના કેસો પણ વધશે. ત્યારે આશા રાખીએ કે આગામી સમયમાં પણ આવી ઉજવણીઓ નહીં થાય.
ભાજપના કયા નેતાએ કોરોનાને હરાવ્યો?
ધારાસભ્ય કિશોર ચૌહાણ, બલરામ થાવાણી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા, પૂર્ણેશ મોદી અને રમણ પાટકરતો રાજ્યકક્ષાના મંત્રી છે.
કોંગ્રેસના કયા નેતાને કોરોના થઈને મટી ગયો
સી.જે.ચાવડા, ઈમરાન ખેડાવાલા, નિરંજન પટેલ, કાન્તિ ખરાડી, ચિરાગ કાલરિયા, ગેનીબેન ઠાકોર, રઘુ દેસાઈ કોરોનાને માત આપી ચૂક્યા છે. ભરતસિંહ સોલંકી હાલ સારવાર હેઠળ છે.