કૃષિ કાયદાઓના વિરોધમાં હજારો ખેડૂતો અત્યારે ધરણાં પર બેઠા છે ત્યારે યુપી ગેટ પર એક ખેડૂતે આપઘાત કરી લેતા બધા ખેડૂતો હચમચી ઉઠયા છે.
વધુ એક ખેડૂતે કર્યો આપઘાત
ગાઝિયાબાદમાં એક ખેડૂતે શૌચાલયમાં આપઘાત કર્યો
ખેડૂતે સુસાઇડ નોટમાં લખ્યું, દિલ્હી બોર્ડર પર જ થાય મારા અંતિમ સંસ્કાર
શું છે સમગ્ર મામલો ?
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીની વિવિધ બોર્ડર પર ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ દેખાઈ રહ્યા છે. એક તરફ જ્યાં આંદોલન ચાલી રહ્યું છે ત્યાં બીજી ખેડૂતોના મૃત્યુના દુ:ખદ સમાચાર વારંવાર સામે આવી રહ્યા છે ત્યારે આજે પણ ગાઝિયાબાદમાં એક ખેડૂતે શૌચાલયમાં આપઘાત કર્યો છે. આપઘાત કરનાર ખેડૂતનું નામ કશ્મીર સિંહ હોવાનું સામે આવ્યું છે અને તેઓ 75 વર્ષના હતા. સુસાઇડ નોટમાં તેમણે પોતાની અંતિમ ઈચ્છાનો પણ ઉલ્લેખ કર્યો છે.
સરકાર નથી સાંભળતી એટલે આ પગલું ભરું છું : ખેડૂત
પ્રાથમિક માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના બિલાસપૂરના રહેવાસની છે અને તેમણે એક સુસાઇડ નોટ પણ છોડી હતી. ભારતીય કિસાન યુનિયને કહ્યું કે આ ખૂબ જ દુ:ખનો વિષય છે કે આજે યુપી ગેટ પર રામપુર જિલ્લાના સરદાર કાશ્મીર સિંહે શૌચાલયમાં આપઘાત કર્યો. તેમણે પોતાના સુસાઈડ નોટમાં લખ્યું છે કે મારા અંતિમ સંસ્કાર મારા પૌત્રના હાથે દિલ્હીના યુપી બોર્ડર પર જ કરવામાં આવે.
આપઘાત માટે સરકારને જવાબદાર ઠેરવી
ખેડૂત યુનિયન દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમનો પરિવાર સતત આંદોલનમાં સેવા કરી રહ્યો છે ને સુસાઇડ નોટ અત્યારે પોલીસના કબજામાં છે. તેમણે નોટમાં આપઘાત માટે સરકારને જવાબદાર ઠેરવી છે. સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે આખરે કયા સુધી આપણે શિયાળામાં અહિયાં બેસી રહીશું. આ સરકાર સાંભળી નથી રહી અને એટલે જ હું મોતને વ્હાલું કરું છું જેથી કોઈ સમાધાન આવી શકે. નોંધનીય છે કે હવે યુપી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.