રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યે રાજીનામું આપી દીધુ છે. ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે રાજીનામું આપી દીધું છે.
રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો
ડાંગના ધારસભ્ય મંગળ ગાવિતે આપ્યું રાજીનામું
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 68 થયું
રાજ્યમાં જાણે કોંગ્રેસ પરિસ્થિતિ કથળતી હોય તેવુ લાગી રહ્યું છે. હજી ગઇકાલે કોંગ્રેસના ચાર ધારસભ્યોએ રાજીનામાં આપ્યાં હતા. જેમાં ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અને ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂએ રાજીનામું આપી દીધું હતું. જોકે આ ચાર વિકેટ ખડતાની સાથે જ કોંગ્રેસની ગાડી પાટા પરથી ખડી ગઈ હતી. કારણ કે, આ ચાર ધારાસભ્યોની વિકેટ ખડવી કોંગ્રેસ માટે ખુબ મોટો ઝટકો લાગ્યો હતો.
સૌથી મોટો સવાલ અહીં એ છે કે ગુજરાતની રાજનીતિમાં નેતાઓ પોતાના રોટલા શેકવા માટે જનતાના વિશ્વાસ સાથે રમત રમી રહ્યા છે અને ભાજપ દર વખતની જેમ તોડજોડની રાજનીતિ રમી રહ્યું છે. કારણ કે 2017માં રાજ્યસભાની ચૂંટણી સમયે શંકરસિંહ વાઘેલા ગેમ રમ્યા હતા અને 14 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા ધરી દીધા હતા.
જેમાંથી બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યા બાદ રાજીનામા આપ્યા હતા. આવી જ રીતે 2019માં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસની પીઠ પાછળ ઘા કર્યો હતો. અને હવે 2020માં કોંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામા ધરી લીધા છે. એટલે કે ચાર વિકેટ ખડતા સ્પષ્ટ પણે ભાજપના પક્ષમાં રાજ્યસભાની ત્રીજી બેઠક પણ જઈ રહી છે.
પક્ષપલટુ રાજનીતિ પર સવાલ?
જોકો હાલ કોંગ્રેસ પણ પોતાના ધારાસભ્યોને પક્ષપલટાની બીકથી જયપુર લઈને પહોંચી છે. મોટા ભાગના ધારાસભ્યો હોટેલમાં છે. તેમજ તેમના ફોન પણ બંધ રાખવામાં આવ્યા છે. પરંતુ જે જયપુરમાં નથી તેમાંથી કેટલાક સંપર્કમાં પણ નથી. ત્યારે સવાલ એ થાય છે કે દર વખતે ચૂંટણી આવે ત્યારે જ કેમ ધારાસભ્યોની નારાજગી સામે આવે છે ? શું કોંગ્રેસના નેતાઓની દુઃખતી નસ ભાજપ પાસે છે? નેતૃત્વના નામે જ કેમ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરે છે? શું કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં કામ કરતા નેતૃત્વ રોકે છે?
ભાજપ પાસે પુરતું સંખ્યાબળ નહોતું તો ત્રીજો ઉમેદવારને કોમ મેદાનમાં ઉતાર્યો? શું ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદી કરે છે? શું ભાજપને ગાળો ભાંડતા નેતાઓ ભાજપમાં જતા દૂધના ધોએલા બની જાય છે ? સવાલો અનેક છે. જેનો આજે ગુજરાતની જનતાને જવાબ જોઈએ છે. કારણ કે અહીં વિશ્વાસ ઘાત જનતાના વિશ્વાસ સાથે થયો છે. જોકે હવે પેટા ચૂંટણી તો નક્કી જ છે. ત્યારે એ પણ સ્પષ્ટ થઈ જશે કે જનતા આવા નેતાઓના અલ્પેશ અને ધવલસિંહ જેવા હાલ કરે છે કે, પછી તેમના પર ભરોસો કરે છે.