રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. મહાનગરોની વાત કરીએ તો અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે અને પ્રજા ધીમે-ધીમે સ્વયંભૂ લૉકડાઉન તરફ વળી છે ત્યારે બોટાદમાં સ્વયંભૂ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
બોટાદ શહેરમાં 7 દિવસનું લોકડાઉન
21 થી 27 એપ્રિલ સુધી લોકડાઉન
ન.પા.સાથે બેઠક બાદ વેપારી એસો.નો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, બોટાદ શહેરમાં દિવસેને દિવસે સતત કોરોનાનું સક્રમણ વધી રહ્યું છે અને સતત પોઝીટીવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા સાત દિવસની વાત કરવામાં આવે તો જીલ્લામાં 252 જેટલા પોઝીટીવ કેસો જીલ્લામાં નોંધાઇ ચુક્યા છે અને હોસ્પીટલ પણ જગ્યાઓ નથી મળી રહી ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સતત 7 દિવસ સુધી લૉકડાઉનને લેવાયો નિર્ણય
બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં નગરપાલિકાના પ્રમુખ રાજેશ્રીબેન વોરા,નગરપાલિકાના સભ્યો તેમજ શહેરના અલગ અલગ વેપારી એસોસિએશન અને સામાજિક સંસ્થાઓના આગેવાનો હાજરીમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોરોનાનું સંક્રમણ કેમ રોકી શકાય તેના માટે અલગ અલગ સૂચનો માગવામાં આવ્યા હતા. જેમાં તમામ લોકોએ સંપૂર્ણ લૉકડાઉનની વાત કરી હતી. જેને લઈને બોટાદ નગરપાલિકા દ્વારા શહેરમાં સાત દિવસ માટેના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
20 એપ્રિલની રાત્રિના 9 વાગ્યાથી 27 એપ્રિલ સુધી શહેરમાં લોકડાઉન
જેમાં આવતીકાલે રાત્રીના ૯ થી ૨૭ એપ્રિલ સુધી શહેરમાં લોકડાઉન રહેશે અને તમામ વેપારધધા બધ રાખવાના રહેશે .જેમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવેલ છે. તેમજ સાત દિવસના લોકડાઉન દરમિયાન કોઇપણ વેપારી કે વ્યક્તિ કાળાબજારી કરતા મળી આવશે તો તેના સામે નગરપાલિકા દ્વારા કડક પગલા લેવાની પણ જાહેરાત કરવામાં આવી છે.આમ કોરોનાનું સક્રમણ રોકવા માટે લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ ના હોઈ જેને લઈ શહેરમાં સાત દિવસનું લોકડાઉન લગાવામાં આવ્યું છે .
ગુજરાતમાં અનેક જગ્યાએ લેવાયો સ્વંયભૂ બંધનો નિર્ણય
કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 3 વાગ્યા પછી બંધની શરૂઆત કરવામાં આવી છે. સાબરમતી, રાણીપ, ન્યુ રાણીપ, બલોલનગર, નરોડા, સરદાર નગર, સિંધી માર્કેટ બંધ કરવામાં આવી રહ્યા છે. વેપારીઓ દ્વારા બંધના સ્ટીકર મારવામાં આવી રહ્યા છે. બંધના એલાનને મોટા ભાગના વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે.
રાજકોટની તો દાણાપીઠ બજાર બપોરે 3 વાગ્યા સુધી જ રહેશે ખુલ્લી
હવે વાત કરીએ રાજકોટની તો દાણાપીઠ બજાર સવારે 8થી બપોરે 3 સુધી ખુલ્લી રહેશે. આજથી 25 એપ્રિલ સુધી સવારે 8થી બપોરે 3 સુધી જ દુકાનો ખુલશે.જ્યારે રાજકોટમાં શનિ-રવિ બે દિવસ ઉદ્યોગગૃહ પોતાના ઉદ્યોગ બંધ રાખવા તૈયાર થયા છે.
પાટણમાં લૉકડાઉન
પાટણમાં પણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી પાટણમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે..સવારે 9થી 12 વાગ્યા સુધી ત્રણ કલાક દુકાનો ખુલ્લી રહેશે.
આ તરફ અરવલ્લીના ઉભરાણ ગામે સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવાયો છે. 30 એપ્રિલ સુધી બજારો સવારે 8થી 3 સુધી ખુલ્લા રાખવામાં આવશે. તો શક્તિપીઠ અંબાજીમાં પણ 3 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. બુધવારથી શુક્રવાર સુધી 1 વાગ્યા સુધી જ બજાર ખુલ્લુ રહેશે.
સાળંગપુરમાં નહીં થાય હનુમાન જયંતીની ઉજવણી
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જ્યંતી મહોત્સવ ઉજવણી કરવામાં આવશે નહીં. વધતા જતા કોરોનાના સંક્રમણના પગલે મંદિર વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે.
ગત 24 કલાકમાં નોંધાયા 11,403 નવા કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 11,403 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 117 લોકોના મોત નિપજ્યા છે આ સાથે જ 4,179 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,41,724 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 117 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 117 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5494 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 341 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 68,754 પર પહોંચ્યો છે.