ન્યૂઝીલેન્ડ ક્રિકેટે આ સાથે જ આરોપ લગાવ્યો છે કે તેમણે કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમણે થોડા દિવસ માટે આઇસોલેશનમાં રહેવું પડશે, જેના કારણે તેઓ પ્રેક્ટિસ કરી નહીં શકે. આ સાથે પાક. ટીમને અંતિમ ચેતવણી પણ આપવામાં આવી છે. નોંધનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ અત્યાર સુધી 3-4 વખત કોરોનાના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરી ચુકી છે.
નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડ એવા દેશોમાંથી છે જેમણે કોરોના ઉપર સફળતાપૂર્વક બ્રેક મારી દીધી છે. એવામાં ન્યુઝીલેન્ડ સરકાર દેશમાં ફરીથી રોગ ન ફેલાય તે માટેના કોરોના પ્રોટોકોલને લઇને ખૂબ કડક છે.
ટીમનો ચાર વાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો
લાહોરથી નીકળતાં પહેલાં પાકિસ્તાની ટીમનો ચાર વાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બધા ખેલાડી નેગેટિવ આવ્યા હતા. પાકિસ્તાની ટીમ મંગળવારે ન્યૂઝીલેન્ડ પહોંચતાંની સાથે તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંના છ ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પાકિસ્તાનમાં કરાયેલા ટેસ્ટ સામે ગંભીર સવાલો ઊઠ્યા છે.
પોઝિટિવ ખેલાડીઓને આઇસોલેશનમાં મોકલી આપવામાં આવ્યા
ન્યૂઝીલેન્ડ ક્રિકેટે એક નિવેદનમાં જણાવ્યું, ''આ છમાંથી બે ખેલાડી અગાઉ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે, જ્યારે ચાર નવા ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.'' ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા જોકે આ ખેલાડીઓના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ છ ક્રિકેટરોમાં સરફરાઝ અહમદ, મોહંમદ અબ્બાસ, આબિદ અલી, નસીમ શાહ, રોહેલ નઝીર અને દાનિશ અઝિઝનો સમાવેશ થાય છે. આ બધા ખેલાડીઓને આઇસોલેશનમાં મોકલી આપવામાં આવ્યા છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર, ''અમને જાણવા મળ્યું છે કે પાક. ટીમના કેટલાક સભ્યોએ ક્વોરન્ટાઇનના પ્રથમ દિવસે જ નિયમનું ઉલ્લંઘન કર્યું છે. અમે તેમની સાથે વાત કરીને સમજાવીશું કે પ્રોટોકોલની શરતો શું હોય છે.''