અમદાવાદની સંજીવની હોસ્પિટલ પર દાખલ દર્દીના પરિવારજનોનો આક્ષેપ, 2 અલગ-અલગ દર્દીના બીલમાં વિઝિટ ચાર્જ પણ ઓછો-વધારે હોવાનો આક્ષેપ
અમદાવાદની સંજીવની હોસ્પિટલ સામે આક્ષેપ
વારંવાર વિવાદમાં આવે છે સંજીવની હોસ્પિટલ
બે દર્દી પાસે એક જ ડોક્ટરના અલગ-અલગ ચાર્જની વસૂલાત
અમદાવાદની સંજીવની હોસ્પિટલ સામે વધુ એક આક્ષેપ થયા છે. સંજીવની હોસ્પિટલમાં દાખલ દર્દીના પરિવારજને આક્ષેપ લગાવ્યા છે. 2 અલગ-અલગ દર્દીના બીલમાં વિઝિટ ચાર્જ પણ ઓછો-વધારે લગાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. એક દર્દી પાસેથી ડોકટરની વિઝિટ દીઠ 7 હજાર વસૂલ્યા તો, બીજા દર્દી પાસેથી એ જ ડોક્ટરની વિઝિટ દીઠ 10 હજાર લેખે વસૂલાત કરવામાં આવી રહી છે. 22 દિવસ દાખલ દર્દીના બિલમાં ડોક્ટર વિઝિટ ચાર્જ 4.40 લાખ દર્શાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદની સત્તા પર બેસેલા અધિકારીઓ આવી હોસ્પિટલો પર લગામ ક્યારે લગાવશે.
21 મેના દિવસે પણ સંજીવની હોસ્પિટલનો સામે આવ્યો હતો વિવાદ
અમદાવાદની સંજીવની હોસ્પિટલ કોરોનાથી મોત પામેલા દર્દીના સગા પાસેથી ખોટા પૈસા વસૂલી રહી હોવાનો આક્ષેપ લાગ્યો હતો. સંજીવનીમાં દાખલ દર્દીનું 11માં દિવસે મોત નિપજ્યું હતું. અને આમ છતાં હોસ્પિટલે 16 દિવસનું બીલ બનાવીને પરિવારને આપ્યું હતું. તેવો આક્ષેપ ખુદ પરિવારજનોએ કર્યો હતો. કોરોના મહામારીમાં બેફામ બની રહેલી હોસ્પિટલ VTV NEWS પર ખુલ્લી પડી ગઈ છે. VTVની ટીમે ઈન્વેસ્ટીગેશન કરીને હોસ્પિટલની લૂંટને છતી કરી દીધી હતી.
અમદાવાદની સંજીવની હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક દર્દીનું મોત નિપજ્યું હતું. અને હોસ્પિટલમાં દાખલ થયાના 11મા દિવસે દર્દીનું મોત થયું હતું પરંતુ બિલમાં 16 દિવસ વેન્ટીલેટર પર રાખ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તમામ શરમને કોરાણે મુકીને સંજીવની હોસ્પિટલ અવાસ્તવિક બિલ બનાવી લૂંટે છે. અમદાવાદના રબારી પરિવાર સાથે સંજીવની હોસ્પિટલની લૂંટ છતી થઈ હતી. દર્દીના સગાની નિરક્ષરતાનો લાભ લઈને સંજીવની હોસ્પિટલે મનફાવે તેવું બીલ ફટકાર્યું હતું.