તાપીના વ્યારામાં વિદ્યાર્થિનીઓને વીજકરંટ લાગવાની ઘટના બની હતી. વ્યારાના દક્ષિણાપથ વિદ્યાલયની 3 વિદ્યાર્થિનીઓને વીજકરંટ લાગ્યો હતો. વીજકરંટથી એક વિદ્યાર્થિનીનું મોત થયુ છે. જ્યારે 2 વિદ્યાર્થીનીઓની હાલત ગંભીર છે. શાળાની હોસ્ટેલમાં રહીને આ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતી હતી.
તાપી જિલ્લાના વ્યારાની એક શાળાની હોસ્ટેલ બિલ્ડીંગમાં રહેતી ત્રણ વિદ્યાર્થીનીઓને વીજ કરંટ લાગવાની કંપાવનારી ઘટના સામે આવતા પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. આ ઘટનામાં એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે, જ્યારે બન્નેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
દક્ષિણાપથ વિદ્યાલયની હોસ્ટેલમાં આજે બકરીઈદની રજા હોવાથી વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં જ હાજર હતી. ત્યારે 11માં ધોરણમાં ભણતી ત્રણ જેટલી વિદ્યાર્થિનીઓ લોખંડના સળિયા વડે હોસ્ટેલના કમ્પાઉન્ડમાં આવેલ નાળિયેરીના ઝાડ ઉપરથી લોખંડના સળિયા વડે નાળિયેર પાડતી હતી. તે વેળાએ લોખંડનો સળિયો વીજતારને અડી જતાં દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ત્રણ વિદ્યાર્થિનીઓને વીજ કરંટ લાગતાં રાધિકા વસાવે નામની વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
જ્યારે અન્ય બે વિદ્યાર્થિનીઓ આકાંક્ષા ગામીત અને પ્રતીક્ષા ગાઈનને વીજ કરંટ લાગતાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસ ફરિયાદ થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.