સ્માર્ટ ફોન કોઇ પણ નશા કરતાં ઊતરતો નથી. તેની લત લોકોને દિવસે ને દિવસે પોતાની પકડમાં લઇ લે છે. કિંગ્સ કોલેજ ઓફ લંડનના પ્રોફેસરોએ એક અભ્યાસમાં જાણ્યું કે દર ચારમાંથી એક બાળક એટલે કે ૨૫ ટકા બાળકો સ્માર્ટ ફોન પર નિર્ભર છે. તેના ખોવાઇ જવાથી કે તૂટવા-ફૂટવાથી તેઓ પરેશાન થઇ જાય છે.
વૈશ્વિક સ્તર પર થયેલા આ અભ્યાસના નિષ્કર્ષ બીએમસી સાઇકાઇટ્રી નામની જર્નલમાં પ્રકાશિત થયા છે, તેમાં વર્ષ ૨૦૧૧ બાદ પ્રકાશિત થયેલા ૪૧ અભ્યાસનું વિશ્લેષણ સામેલ કરાયું છે, જેમાં ૪૧,૮૭૧ બાળકો અને યુવાનોને સામેલ કરાયાં હતાં. આ અભ્યાસમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ અને માનસિક સ્વાસ્થ્ય પર પડતા પ્રભાવનું આકલન કરાયું.
અભ્યાસમાં જણાવાયું છે કે ૧૦થી ૩૦ ટકા બાળકો અને યુવાનો પોતાના ફોનનો વધારે પડતો ઉપયોગ કરે છે, તેમાંથી ૨૩ ટકા લોકોમાં પીએસયુ (પ્રોબ્લેમેટિક સ્માર્ટ ફોન યુઝિસ)નાં લક્ષણો જોવા મળ્યાં છે. પીએસયુ સ્માર્ટ ફોન સંબંધિત વ્યવહારિક પરેશાની છે, જે કોઇ લત જેવી છે. તેનાથી ફોન ન મળે ત્યારે ગભરામણ થવા લાગે છે. તેને નજરઅંદાજ કરતાં વધુ એક સમસ્યા ઊભી થાય છે, તેમાં વ્યક્તિ ૨૪ કલાક માત્ર સ્માર્ટ ફોન સાથે ચીપકેલી રહે છે.
સંશોધકોએ જણાવ્યું કે ૪૧ અભ્યાસમાં એશિયાના ૩૦, યુરોપના ૯ અને અમેરિકાના બે અભ્યાસ સામેલ કરાયા હતા, તેમાં ૫૫ ટકા મહિલાઓની ભાગીદારી હતી અને ૧૭થી ૧૯ વર્ષની યુવા મહિલાઓમાં પીએસયુનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. આ અભ્યાસનાં પરિણામ જણાવે છે કે જેમને સ્માર્ટ ફોનનું વ્યસન હોય છે તેમને ચિંતા, ગભરામણ, ટ્રેસ, ઊંઘમાં કમી, ડિપ્રેશન જેવી સમસ્યા થવા લાગે છે.