લોકસભા ચૂંટણીનો જંગ આ વખતે માત્ર રેલી સુધી નથી રહ્યો પણ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને-સામને જોવા મળી રહ્યાં છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સવારે પોતાનાં બ્લોગમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ કોંગ્રેસને વંશવાદ-લોકતંત્ર-સંસદ સહિત અનેક મુદ્દે ઘેરી આકરા પ્રહાર કર્યાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળમાં એવા કામ થયા જે કોંગ્રેસ સરકાર દરમિયાન ન થયા. પીએમ મોદીએ લખ્યું કે ઇમરજન્સી લાગુ કરી કોંગ્રેસે સાબિત કર્યું કે તેઓ એક વંશની રક્ષા કરવા માટે કેટલી હદ સુધી જઇ શકે છે.
પીએમ મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે વંશવાદની રાજનીતિથી સૌથી મોટું નુકસાન સંસ્થાઓને થયું. મીડિયાથી પાર્લામેન્ટ, જવાનથી લઇને ફ્રી સ્પીચ સુધી, કોન્સ્ટિટયૂશનથી લઇને કોર્ટ સુધી, કાંઇ પણ છોડયું નહીં. ભારતે જોયું કે જ્યારે વંશવાદનું રાજકારણ હાવી થયું તો દેશની સંસ્થાઓને કમજોર કરવાનું કામ કર્યું.
પીએમએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસનો કામ કરવાની રીત એકદમ સાફ છે - પહેલા નકારો, પછી અપમાનિત કરો અને ત્યારબાદ ધમકાઓ. કોંગ્રેસ હંમેશા રક્ષા વિભાગને કમાણીના સાધન તરીકે જોતી આવી છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ 'મેં ભી ચોકીદાર' કેમ્પઇન સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકોની પસંદગીનું પાત્ર બન્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ઇતિહાસમાં પહેલીવાર કોઇ બિનવંશવાદી પાર્ટીને પૂર્ણ બહૂમત મળ્યું. આમ પીએમ મોદીએ પોતાના બ્લોગ પર વંશવાદ, લોકતંત્ર, સંસદ સહિત અનેક મુદ્દે કોંગ્રેસ પર ટિપ્પણી કરી.