રાજ્યમાં રખડતા ઢોરોને કારણે નિર્દોષો ભેટ્યા મોતને, નિરસ તંત્રના પાપે વધુ એકનો ભોગ લેવાયો, રખડતા ઢોરોથી મહાનગરોની જનતા ત્રાહિમામ, દોષિતો સામે પગલા લેવાની માંગ
વડોદરામાં ઢોરને કારણે એકનું મોત
સ્ટ્રીટ લાઇટ ન હોવાથી અંધારામાં ન દેખાઇ ગાય, થયો અકસ્માત
સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવે- અમીબેન રાવત
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. રસ્તા પર ઠેર ઠેર અડિંગો જમાવી દેતા વાહનચાલકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. ઘણીવાર અકસ્માતના બનાવો બન્યા અને નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. અનેકવાર તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો, પ્રજા રજૂઆતો કરીને થાકી પરંતુ હજી સુધી સ્થિતિ એની એજ જોવા મળી રહી છે પરિણામે દિવસ જાય તેમ રખડતા પશુઓને કારણે પરિવારે વ્હાલસોયાને ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આજે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો.
રાત્રિના અંધારામાં રખડતા ઢોરને કારણે અકસ્માત
વડોદરામાં રખડતા ઢોરના કારણે વધુ એકનો ભોગ લેવાયો. સુભાનપુરાના નંદાલય પાસે જીગ્નેશ રાજપૂત નામના વ્યક્તિનું મોત નીપજ્યું. ગત મોડી રાત્રે રસ્તા પર બેઠેલી ગાય સાથે તેઓનું બાઇક અથડાયું. રાત્રિના અંધારાને કારણે ગાય ન દેખાતા અકસ્માત સર્જાયો હતો. વળી તે સ્થાન પર સ્ટ્રીટ લાઇટ પણ બંધ હતી. તંત્રની બેદરકારીના કારણે મોત થતા લોકોમાં ભારો ભાર રોષની લાગણી ફરી વળી છે.
માણસ તો પાછો નહી આવેને, દોષિતો સામે પગલા લો- પરિવારજન
વીટીવી ન્યૂઝ દ્વારા પરિવારજન સાથે વાત કરવામાં આવી તેઓએ જણાવ્યું કે પશુ માલિકો ગાયને દોહીને રખડતી મુકી દે છે જેને કારણે અનેક લોકોના જીવ ગુમાવવાનો વારો આવે છે. અમારા સ્વજન કાલે નાલંદાવાળા રોડ પરથી આવતા હતા.ત્યારે રાત્રે લાઇટો બંધ હતી. એકદમ જ ગાય આવી ગઇ તો શિંગડુ મારીને ઉલાળીને ફેંકી દીધા અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અમે તો માણસ ગુમાવ્યો, માણસ પાછો નહી આવે. અમને સહાય પણ કોઇ મળવાની નથી. તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી કરવી જોઇએ. દોષિતો સામે પગલા લેવા જોઇએ.
તો આ મામલે વડોદરા મનપાના વિપક્ષના નેતા અમીબેન રાવતે કોર્પોરેશનની બેદરકારીથી મોત થયાનો આરોપ લગાવ્યો હતો. તેઓ મૃતકના પરિવારને મળ્યા હતા. આ દરમિયાન તેઓએ દોષિતો સામે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરવા માંગ કરી હતી. ઢોર પકડવાની કામગીરીમાં પાલિકા નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.
કોર્પોરેશન માત્ર વાતો કરે છે પરંતુ કામ નથી કરતું : સ્થાનિક
તો આ તરફ અમદાવાદમાં પણ પશુઓનો રસ્તા પર જમાવડો જોવા મળી રહ્યો છે. એએમસીના પાપે અમદાવાદીઓ પરેશાન થઇ રહ્યા છે. ઢોરુપાર્ટી દ્વારા કામગીરી કરાતી હોવાનો દાવો માત્ર કાગળો પર હોય તેમ લાગી રહ્યું છે..
છેલ્લા 10 મહિનામાં 524 લોકોને ઢોરને કારણે અકસ્માતમાં ઇજાઓ પહોંચી. ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ દ્વારા લોકો સાથે વાતચીત કરવામાં આવી . તેઓ જણાવ્યું કે વચ્ચોવચ ગાયો બેઠી હોવાથી અકસ્માત થાય છે. અનેકવાર રજૂઆત કરી. પણ તંત્ર કોઇ ધ્યાન આપતું નથી. CNCD વિભાગ કામ ન કરતુ હોય તો પ્રાઇવેટમાં કામગીરી આપી દો. તંત્રની કામગીરી સાવ નિરસ છે.