કોરોના ફક્ત કેસના રોજેરોજના મહાવિસ્ફોટથી જ ખોફનાક નથી બન્યો, પણ હવે તે વધુ ને વધુ દર્દીઓને ભરખી રહ્યો છે. કોરોનાનો મૃત્યુઆંક પણ તીવ્ર ગતિથી વધી રહ્યો છે.નવ દિવસમાં 30નાં મોત
કોરોનાની આફતમાં છે અમદાવાદ શહેર ?
કોરોનાથી દર ત્રણ કલાકે એકનું મોત
ડોકટરોએ કહ્યું આ સારી નિશાની નથી
અમદાવાદીઓએ કોરોના અને ઓમિક્રોનને લેશમાત્ર હળવાશથી લેવાની જરૂર નથીઃ વૃદ્ધો, કોમોર્બિડ દર્દી તેમજ વેક્સિન પ્રત્યે બેદરકારી દાખવનારાને કોરોના સહેલાઈથી તેનો શિકાર બનાવે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 72 કલાકમાં એટલે કે ત્રણ દિવસમાં કુલ 21 દર્દીનાં કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં છે, જે દર ત્રણ કલાકે એક દર્દીનું મોત દર્શાવતું હોઈ આ બાબત ખતરનાક છે તેમ તબીબો માને છે. આથી સાવધાન રહેવું ખૂબ જરૂરી બન્યું છે.
ચેતજો,અમદાવાદમાં દર કલાકે 1 નું મોત
શહેરમાં કોરોના અને તેના વેરિઅન્ટ ઓમિક્રોનની મહાસુનામી ફરી વળી હોઈ એક અંદાજ પ્રમાણે ચાલુ જાન્યુઆરી મહિનામાં કોરોનાના સત્તાવાર 72078 કેસ મ્યુનિ. હેલ્થ વિભાગના ચોપડે નોંધાઈ ચૂક્યા છે. જોકે બિનસત્તાવાર આંક તો એક લાખ કેસનો હોઈ તંત્રને પણ ભરશિયાળામાં પરસેવો છૂટી રહ્યો છે. કોરોના ફક્ત કેસના રોજેરોજના મહાવિસ્ફોટથી જ ખોફનાક નથી બન્યો, પણ હવે તે વધુ ને વધુ દર્દીઓને ભરખી રહ્યો છે. કોરોનાનો મૃત્યુઆંક પણ તીવ્ર ગતિથી વધી રહ્યો છે. છેલ્લા નવ દિવસમાં જ કુલ 30 દર્દીના રામ રમી ગયા હોઈ કોરોનાનું 'યમરાજ' જેવું વિકરાળ સ્વરૂપ લોકોને ભયભીત કરી રહ્યું છે. કોરોનાથી થતાં મૃત્યુના કેસમાં થઈ રહેલો વધારો તંત્ર માટે પણ ચેતવણીનું સિગ્નલ છે.
આમ તો ઓમિક્રોન ઇફેક્ટથી કોરોનાનો ચેપ તીવ્ર ગતિથી ફેલાઈ રહ્યો છે. કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન તેને ઘરે ઘરે પહોંચાડી દેશે તેવી ભીતિ પણ લોકોમાં જોવા મળે છે. જે રીતે જાન્યુઆરીના પ્રારંભથી કોરોનાની આંધી શહેરમાં ફેલાઈ રહી છે તેને જોતાં કોરોના વધુ ને વધુ બિહામણો થતો જાય છે. અત્યારે પણ કોરોનાના નવા કેસ મહદઅંશે ઓમિક્રોનનો જ પ્રતાપ છે.
જોકે કોરોનાના સતત વધતા જતા કેસની વચ્ચે પણ તેમાં હોસ્પિટલાઇઝેશનનું પ્રમાણ ઓછું છે તેવું અત્યાર સુધી ગાઈ-વગાડીને કહેનારાં મ્યુનિ. તંત્રને પણ છેલ્લા નવ દિવસમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા જોઈને ચક્કર આવી રહ્યાં છે. કોરોનાએ આટલા સમયગાળામાં કુલ 30 દર્દીનો ભોગ લીધો હોઈ મ્યુનિ. હેલ્થ વિભાગ પણ અંદરખાનેથી સ્તબ્ધ બન્યો છે.
અમદાવાદીઓએ ઓમિક્રોનને પણ લેશમાત્ર હળવાશથી લેવાની જરૂર નથી તેમ છેલ્લા નવ દિવસમાં થયેલાં કુલ 30 દર્દીનાં મોતનો આંકડો દર્શાવી રહ્યો છે.
ગઈ કાલે સૌથી વધુ આઠ દર્દીનાં મોત થયાં હતાં.
ગત તા. 13 જાન્યુઆરીએ કોરોનાથી આ મહિનામાં પ્રથમ મોત નોંધાયું હતું. તે વખતે 24 ડિસેમ્બર બાદ એટલે કે 19 દિવસ પછી કોરોનાથી મૃત્યુ થયું હતું. જોકે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે એક પણ દર્દીનું મોત થયું નહોતું, પરંતુ 15 જાન્યુઆરીએ વાસી ઉત્તરાયણના દિવસથી શહેરમાં રોજેરોજ કોરોનાથી દર્દીનાં મૃત્યુ થઈ રહ્યાં છે.
તા. 15 જાન્યુઆરીએ લોકો તહેવાર ઉજવવામાં વ્યસ્ત હોઈ સ્વાભાવિકપણે કોરોનાના કેસ ઘટીને 2,621 નોંધાયા હતા, પરંતુ તહેવારના દિવસે પણ બે દર્દીનાં મોત થયાં હતાં. 16 જાન્યુઆરીએ કોરોનાએ વધુ બે દર્દીનો ભોગ લીધો હતો. કોરોનાના કેસમાં પણ 24 ટકાની વૃદ્ધિ થતાં કુલ 3,264 કેસ થયા હતા. ૧૭ જાન્યુઆરીએ કોરોનાના કુલ 4,340 કેસ સાથે એક દર્દીનું મોત થયું હતું.
જ્યારે 18 જાન્યુઆરીએ શહેરમાં કોરોનાના કેસનો અત્યાર સુધીનો રેકોર્ડ સર્જાયો હતો. તે દિવસે નવ 5,998 કેસ તંત્રના ચોપડે ચડ્યા હતા. આ ઉપરાંત 9 જૂન બાદ પહેલી વખત કોરોનાથી ત્રણ દર્દીનાં મોત થયાં હતાં. આમ કેસ અને મૃત્યુઆંક બંનેમાં જબ્બર ઉછાળો નોંધાયો હતો.
જોકે 19 જાન્યુઆરી તો અમદાવાદીઓ માટે વધુ બિહામણી બની હતી, કેમ કે તે દિવસે કોરોનાના નવા સત્તાવાર 8391 કેસ નોંધાઈને વધુ છ દર્દીનાં મૃત્યુ થયાં હતાં. આમ ચાલુ જાન્યુઆરી મહિનામાં 18 જાન્યુઆરીએ મૃત્યુઆંકનો પણ નવો રેકોર્ડ બન્યો હતો.
તેમ છતાં કોરોના અને તેનાં વેરિઅન્ટ ઓમિક્રોનનો કહેર અટક્યો નહોતો, કેમ કે 20 જાન્યુઆરીએ તેના કેસ લગભગ 10 હજારની આસપાસ પહોંચી જતાં મ્યુનિ. હેલ્થ વિભાગમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તંત્રે સત્તાવાર 9,837 કેસ તેના ચોપડે દર્શાવ્યા હતા, પરંતુ મૃત્યુઆંક સાત થયો હતો એટલે કે પાછલા દિવસ કરતાં પણ વધુ એક દર્દીનો કોરોનાએ ભોગ લીધો હતો.
જ્યારે ગઈ કાલ તા. 21 જાન્યુઆરીએ કોરોનાની મહાસુનામી વચ્ચે પણ આશ્ચર્યજનક રીતે કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો અને નવા 8,627 કેસ નોંધાયા હતા. મ્યુનિ. હેલ્થ વિભાગે કેસના આંકડામાં જે રમત રમી હોય તે, પરંતુ મૃત્યુઆંક ઓછો બતાવી શક્યા નહોતા એટલે વધુ આઠ દર્દીનાં મોત થયાં હતાં. ઓમિક્રોન હળવો જણાતો હોવા છતાં વૃદ્ધો, કોમોર્બિડ દર્દીઓ અને વેક્સિનના ડોઝ પ્રત્યે લાપરવા રહેનારા લોકો માટે તે ભયાનક બન્યો છે. એટલે શું તંત્ર હવે એલર્ટ મોડમાં આવશે? તેવો પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.