એક માતાનું આક્રંદ સૃષ્ટિની સૌથી દુખી ઘટના ગણાતી હશે. એનું રડવું નિર્જીવોને પીગળાવે અને નિષ્ઠૂરને પણ તેના આંસૂમાં ઓગાળી દે. 18 વર્ષના મિહીરના માતા કોકીલાબેન અને પિતા ભરતભાઈ પર આભ તુટી પડ્યું છે. બહેન કાજલે એક ભાઈને ગુમાવ્યો તો એ યાદોની આંખોમાંથી પણ આંસુ આવ્યા જેની ગોદમાં આ ભાઈ-બહેનની એકે-એક ક્ષણ વીતી હતી.
10મી સપ્ટેમ્બરે કોલેજથી ઘરે પરત આવતા ડમ્પરે મિહીરના બાઈકને ટક્કર મારી મિહીરને માથાના ભાગે ગંભીર ઈજા થઈ. ડોક્ટરોના તમામ પ્રયત્નો અને પરિજનોની દુઆ કામે ન લાગી.
અકસ્માતના બે દિવસ પછી મિહીરનું બ્રેઈન ડેથ હોવાનું ડોક્ટરે જાહેર કર્યું. બ્રેઈન ડેથ વ્યક્તિના અન્ય અંગો કોઈનું જીવન ઉજાળી શકે છે. માત્ર તેનું મગજ કામ કરતું બંધ થાય છે જ્યારે કિડની અને લીવર જેવા અવયવ તેમની નિયમીત ક્રિયાઓ કરતા રહે છે. પરંતુ આ ક્ષણ કોઈપણ હિંદૂ માતા-પિતા માટે ધર્મયુદ્ધ સમાન હોય છે.
એક તરફ અંતિમક્રિયાને લઈને ધાર્મિક માન્યતાઓનો પૂંજ તો બીજી તરફ કોઈના જીવનદીપને નવું તેલ પુરવાનો આત્મસંતોષ. કોકીલાબેન અને ભરતભાઈએ એ જ પસંદ કર્યું જે આ ગુજરાતની દરેક માતા અને દરેક પિતા પસંદ કરે.
મિહીરના માતા-પિતાએ નિર્ણય લીધો કે માવતર તરીકે તેમના સ્વપ્નાઓ ભલે મિહીરમાં વિલિન થયા પણ કોઈના શમણાઓમાં મિહીર હંમેશા ધબકતો રહેશે. એ ખુશીની વાત છે કે મિહીર હવે ઉત્તરપ્રદેશના નોઈડાના રહેવાસી ગોવિંદ મહેરાના દિલમાં ધબકી રહ્યો છે.
મિહીરનું હ્રદય સુરતની હોસ્પિટલથી 1158 કિલોમીટરનું અંતર માત્ર 177 મીનીટ એટલે કે ત્રણ કલાકમાં દિલ્લી પહોંચ્યું અને એઈમ્સ હોસ્પિટલમાં તેને ગોવિંદના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ થયું.
મહિરની એક કિડની સુરતના રહેવાસી સંજયભાઈના જીવનને ઉજાળી ગઈ તો એક કિડનીથી અમદાવાદના 12 વર્ષના અદનાનને નવજીવન બક્ષતી ગઈ. લીવરથી મિહીર હવે સુરતના મંજુલાબેનના દેહમાં સજીવન રહેશે.
મિહીરની આંખોનું દાન લોકદ્રષ્ટિ સંસ્થાએ સ્વીકાર્યું છે તો સ્વાભાવિક છે કે બે લોકો આ દુનિયાના વિવિધ રંગ મિહીરની આંખે જોશે. ભરતભાઈ અને કોકિલાબેન માટે હવે તેમની સાથે મિહીર નહી પણ 6 લોકોમાં મિહીર જીવે છે.
એક મા-બાપ માટે આ લાગણીને અનુભવવી અને ઝીરવીને જીવવું તે કઠીન છે પણ કેટલાક જીવ દ્રષ્ટિ અને દ્રષ્ટા એમ પ્રકૃતિની બે તદ્દન વિરૂદ્ધ છતાં અદભૂત ઘટનાઓ માટે સર્જાયા હોય છે. તો મિહીરના માતા-પિતા પણ એ સત્યને સ્વીકારી જશે અને જીવી જશે.