અમદાવાદ અને સુરત બાદ એકવાર ફરી સુરતમાં લિફ્ટ તૂટતા એકનું મોત અને 8 લોકો ઇજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે. જેના લીધે તંત્ર અને કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ અનેક સવાલો મનમાં ઊભા થાય છે.
સુરતમાં વધુ એકવખત લિફ્ટ તૂટ્યાની ઘટના ઘટી
ભટાર ખાતે શાંતિવન મિલમાં લિફ્ટ તૂટતા 1નું મોત
8 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
સુરતમાં વધુ એક વખત લિફ્ટ તૂટ્યાની ઘટના સામે આવી છે શહેરના ભટાર ખાતે શાંતિવન મિલમાં લિફ્ટ તૂટતા એકનું મૃત્યુ થયું છે. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, મળતી માહિતી અનુસાર, બીજા માળેથી એકાએક લિફ્ટ ખોટકાતા તમામ લોકો નીચે પટકાયા હતા. આથી આ દુર્ઘટનામાં એકનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની કમર તૂટી છે તો કેટલાકના પગ ફેક્ચર થયા છે.
BIG NEWS: સુરતમાં વધુ એકવખત લિફ્ટ તૂટી: ભટાર ખાતે શાંતિવન મિલમાં લિફ્ટ તૂટતા એકનું મોત અને 8 લોકો ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્તોની કમર તૂટી અને પગ ફ્રેક્ચર થયા, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા#Surat#Liftbreak
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 5, 2022
અગાઉ આ જ રીતે અમદાવાદ અને સુરતમાં લિફ્ટ તૂટ્યાની ઘટના ઘટી હતી
ઉલ્લેખનીય છે કે, હજુ તો થોડાક દિવસો અગાઉ જ અમદાવાદ અને સુરતમાં પણ આવી જ દુર્ઘટના ઘટી હતી. જેમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર - 2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત નિપજ્યાં હતા. જ્યાર પછી સુરતમાં પણ પાંડેસરાના વડોદ ગામ નજીક પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં કોમર્શિયલ લિફ્ટ તૂટ્યાની ઘટના સામે આવી હતી. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા.
જોકે અહીં કેટલાક પ્રશ્નો પણ મનમાં ઉદભવે છે જેવાં કે શા માટે વારંવાર આ પ્રકારની લિફ્ટ તૂટ્યાની ઘટનાઓ ઘટતી રહે છે? ક્યાં સુધી આ રીતે લોકો મોતના મુખમાં ધકેલાતા રહેશે? શું કોન્ટ્રાક્ટર કે મનપાની કોઇ જવાબદારી જ નથી?
સળગતા સવાલ
વારંવાર લિફ્ટ તૂટવાની ઘટના કેમ બને છે?
અમદાવાદમાંથી સુરત મનપાએ કાંઈ શિખ ન લીધી?
કોન્ટ્રાક્ટરની બેદરકારી રાજ્યમાં કેટલાના જીવ લેશે?
પોલીસ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કેમ નથી કરતી?
કોન્ટ્રાક્ટરો લોકોને ક્યાં સુધી મોતના મુખમાં ધકેલશે?