કેન્દ્ર સરકાર હવે 'દેશ એક વેતન કા દિન એક' સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય શ્રમપ્રધાન સંતોષ ગંગવારે જણાવ્યું છે કે સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર આ વ્યવસ્થા લાગુ કરવાની દિશામાં કામ કરી રહી છે.
કેન્દ્રની 'દેશ એક વેતન કા દિન એક' સિસ્ટમ લાવવાની તૈયારી
વેતન કોડ વિધેયક સંસદમાં પસાર થઇ ચૂક્યું છે
તમામ સેક્ટરમાં એકસરખો લઘુતમ પગાર આપવાની દિશામાં વિચારણા
તેમણે જણાવ્યું કે અલગ અલગ સેક્ટરના કર્મચારીઓના પગાર સમયસર થાય તે સુનિશ્ચિત કરવા માટે સમગ્ર દેશમાં એક જ દિવસે પગાર આપવાની જોગવાઇ હોવી જરૂરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે આ માટે ટૂંક સમયમાં કાયદો બનાવવામાં આવે.
કેન્દ્રીય પ્રધાને સિક્યોરિટી લીડરશિપ સમિટ ૨૦૧૯માં જણાવ્યું હતું કે સરકાર કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને તમામ સેક્ટરમાં એકસરખો લઘુતમ પગાર આપવાની દિશામાં કામ કરી રહી છે. તેમણે એવું પણ જણાવ્યું કે સરકાર ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન (ઓએસએચ) કોડ અને વેતન કોડને લાગુ કરવાની પ્રક્રિયામાં છે. વેતન કોડ વિધેયક સંસદમાં પસાર થઇ ચૂક્યું છે. હવે માત્ર તેનો અમલ કરવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.
ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન (ઓએસએચ) કોડને લોકસભામાં ૨૩ જુલાઇ, ૨૦૧૯ના રોજ રજૂ કરાયો હતો. આ કોડને ૧૩ શ્રમ કાયદાઓને એકત્ર કરીને તૈયાર કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેમાં કેટલીય જોગવાઇઓ સામેલ કરવામાં આવી છે.
હવે દરેક કર્મચારીને એપોઇન્ટમેન્ટ લેટર, સેલરી સ્લિપ, વાર્ષિક ફ્રી મેડિકલ ચેકઅપ જેવી જોગવાઇનો લાભ આ કોડ દ્વારા મળશે. દરમિયાન નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કંપનીના સીઇઓની સેલરી પર જીએસટી લગાવવાની હાલ કોઇ યોજના નથી.
નાણાં મંત્રાલય હેઠળ કામ કરતા સીબીઆઇસીએ આ પ્રસ્તાવને ફગાવી દેતા જણાવ્યું કે કર્મચારીની સેલરિડ સર્વિસીસને સપ્લાય ઓફ સર્વિસીસ કહી શકાય નહીં કે સપ્લાય ઓફ ગુડ્સ પણ કહી શકાય નહીં.