અમદાવાદઃ પાસ કન્વિનર હાર્દિક પટેલ રવિવારના રોજ નિકોલમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ કરશે. 25મીના ઉપવાસ માટે AMC દ્વારા ગ્રાઉન્ડ ન ફાળવાતા આજે પ્રતિક ઉપવાસ કરી તેનો વિરોધ કરશે. હાર્દિક પટેલ અને પાસ દ્વારા 25મીથી શરૂ થતા આમરણાંત ઉપવાસ માટે નીકોલમાં આવેલા ચાર જુદા-જુદા ગ્રાઉન્ડમાંથી કોઈ એક ગ્રાઉન્ડની માગ કરાઈ હતી.
પરંતુ AMCએ તે ચારેય ગ્રાઉન્ડને પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે. એકપણ ગ્રાઉન્ડ માટે પરવાનગી આપી નથી. જેને લઈને પાસ અને પાટીદારોમાં ભારે રોષ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉપવાસ આંદોલનને લઇને પત્ર લખ્યો હતો. હાર્દિકે પત્રમાં સીએમ રૂપાણીને ઉપવાસ સ્થળ માટે મંજૂરી આપવા માટે વિનંતી કરી હતી. જો કે તંત્ર દ્વારા હાર્દિક પટેલના ઉપવાસ સ્થળને પાર્કિગ પ્લોટ જાહેર કરી દેવામાં આવ્યો છે.