1 કોરોના સંક્રમિત વ્યક્તિ 406 લોકોને ચેપ લગાડી શકે છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે ઘણી યુનિવર્સિટીઓના રિસર્ચમાં એ વાત સામે આવી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરવામાં આવે તો એક શખ્સ 1 મહિનામાં 406 લોકોને સંક્રમિત કરી શકે છે.
સંક્રમિત વ્યક્તિએ માસ્ક પહેરવું ખુબ જરુરી
તે ઉપરાંત કોરોનાના દર્દીઓ અને જેમને કોરોનાનો ચેપ લાગ્યો નથી તેવા લોકો જો માસ્ક પહેરે તો ચેપના ફેલાવાના ચાન્સ 1.5 ટકા જ થશે. અગ્રવાલે જણાવ્યું કે જો સંક્રમિત વ્યક્તિ પોતાનું એક્સપોઝર 50 ટકા સુધી ઓછું કરે તો તે એક મહિનામાં 406 લોકોને બદલે 15 લોકોને સંક્રમિત કરી શકશે. જો એક્સપોઝરમાં 75 ટકાનો ઘટાડો આવે તો સંક્રમિત વ્યક્તિ 30 દિવસમાં 2.5 લોકોને અસર પહોંચાડશે. માસ્કના ઉપયોગ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે એક બાજુ આપણે ક્લિનિકલ મેનેજમેન્ટની જરુર છે તો બીજી બાજુ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન અને માસ્ક પહેરવાની પણ જરુર છે.
કોરોના સંક્રમિત વ્યક્તિ 6 ફુટના અંતરે હોય તો પણ કોરોના ફેલાવી શકે છે
અગ્રવાલે જણાવ્યું કે સ્ટડીથી જાણકારી મળી છે કે જો કોરોના સંક્રમિત વ્યક્તિ 6 ફુટના અંતરે હોય તો પણ તે સંક્રમણ ફેલાવી શકે છે. હોમ આઈસોલેશનની સ્થિતિમાં પણ આવું થઈ શકે છે. જો માસ્કનો યોગ્ય ઉપયોગ ન કર્યો તો એ વાતની 90 ટકા સંભાવના છે કે સંક્રમિત વ્યક્તિ બીજા લોકો સુધી કોરોના ફેલાવી શકે છે. જો ગેર સંક્રમિત શખ્સ માસ્ક પહેરે અને સંક્રમિત શખ્સ માસ્ક ન પહેરે તો ચેપની આશંકા 30 ટકા ઓછી રહે છે. ટોચના નિષ્ણાંત અને નીતિ આયોગના મેમ્બર ડો.વીકે પૌલે જણાવ્યું કે હવે ઘરમાં પણ માસ્ક પહેરી રાખવું જરુરી છે અને તેમાંય જ્યારે કોઈ પોઝિટીવ હોય ત્યારે તો ખાસ.
લોકોએ કારણ વગર ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ
ડો.વીકે પોલે જણાવ્યું કે કોરોના મહામારીમાં લોકોએ કારણ વગર ઘરની બહાર ન જવું જોઈએ. લોકોએ ઘરમાં પણ માસ્ક પહેરી રાખવું જોઈએ. માસ્ક પહેરવું ખૂબબ જરુરી છે. તેમણે કહ્યું કે લોકોએ હાલ પૂરતા મહેમાનોને ઘેર બોલાવવાનું ટાળવું જોઈએ.
સ્ત્રીઓ માસિક ધર્મ દરમિયાન વેક્સિન લઈ શકે છે
ડો.પોલે જણાવ્યું કે શું સ્ત્રીઓ માસિક ધર્મ દરમિયાન વેક્સિન લઈ શકે છે. તો અમારો જવાબ હા માં છે. માસિક ધર્મ દરમિયાન પણ મહિલાઓ વેક્સિન લઈ શકે છે. માસિક ધર્મને કારણે વેક્સિન લેવાનુ મોકૂફ રાખવું યોગ્ય નથી. આપણે કોવિડ રસીકરણમાં બિલકુલ પણ ઘટાડો ન કરી શકીએ. હકીકતમાં રસીકરણમાં તો ખૂબ વધારો થવો જોઈએ. મહામારી સામે લડવાનો આ એક મહત્વનો ઉપાય છે.