ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં 29, 30 અને 31 માર્ચે કમોસમી વરસાદ પડી શકે છે.
રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી
31 માર્ચ સુધી વરસી શકે વરસાદ
ખેડૂતોની ચિંતામાં વધારો
ગુજરાતના માથે માવઠાનું સંકટ હજુ પણ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ક્યાંય વરસાદ વરસ્યો હોય તેવું જાણવા મળ્યું નથી, પરંતુ આગામી તા 29, 30 અને 31 માર્ચે ફરી રાજ્યના ખેડૂતો માટે કમોસમી વરસાદની આગાહી નવી આફત નોંતરશે. સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ આ ત્રણ દિવસોમાં ફરી માવઠું પડી શકે છે.
બે-ત્રણ દિવસથી નથી નોંધાયો વરસાદ
અત્યારે તો હવામાન સૂકું થયું હોઈ કમોસમી વરસાદ પડ્યાના કોઈ અહેવાલ નથી. અમદાવાદમાં પણ આકાશ સ્વચ્છ થયું છે અને સૂર્યનારાયણને વાદળાઓ નડતાં નથી. ગઈકાલે શહેરમાં 18.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય તાપમાનથી ત્રણ ડિગ્રી જેટલું ઓછું હતું, જ્યારે એના આગલે દિવસે 34.5 ડિગ્રી સેલ્સિયસ મહતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી ઓછું રહેતાં અમદાવાદીઓ માટે રવિવારની રજાનો દિવસ હવામાનની દૃષ્ટિએ આરામદાયક ગયો હતો. પરીક્ષાના માહોલના કારણે લોકોએ કામ સિવાય બહાર નીકળવાનું ટાળ્યું હતું, જોકે ચૈત્ર નવરાત્રિના કારણે સાંજથી મા અંબેનાં મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. માઈભક્તોએ પોતપોતાનાં કુળદેવીની પણ ભક્તિભાવપૂર્વક ઉપાસના કરી હતી તો પાવાગઢ, અંબાજી, બહુચરાજી અને ચોટીલા જેવાં શક્તિપીઠ ખાતે હજારો ભક્તો ઊમટી પડ્યા હતા.
શું કહ્યું હવામાન વિભાગે?
આ દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે, આવતીકાલથી ફરી ભારે પવન સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની શક્યતા છે. આવતીકાલે એટલે કે 29 માર્ચે રાજ્યના દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી અને રાજકોટમાં વરસાદ પડી શકે છે. તો 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી છે. 31 માર્ચે ભરૂચ, સુરત, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતાઓ છે.
અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ત્રણ દિવસ આકાશ સ્વચ્છ રહેશે, જ્યારે ગુરુવારે તે અંશતઃ વાદળછાયું બનશે, જોકે શુક્રવાર તા. 31 માર્ચે શહેરના આકાશમાં વાદળાઓ છવાઈ જશે. અલબત્ત, હવામાન વિભાગ દ્વારા તે દિવસે શહેરમાં વરસાદ પડવાની કોઈ આગાહી કરાઈ નથી.