ભોપાલથી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ફરીથી એકવાર તેમના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં છે, આ વખતે તેમણે ક્ષત્રિય લોકોને વધુને વધુ સંતાનોને પેદા કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ હિન્દૂ રાજય બનીને જ રહેશે.
ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાનું વિવાદિત નિવેદન
ક્ષત્રિયોને દેશની રક્ષા માટે વધુ સંતાનો પેદા કરવાની સલાહ આપી
દિગ્વિજય સિંહ અને મમતા બેનરજીપર પણ સાધ્યું નિશાન, ખેડૂત આંદોલનને દેશવિરોધી ગણાવ્યું
મધ્યપ્રદેશથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ફરીથી પોતાના એક નિવેદનને લઈને વિવાદને આમંત્રણ આપી દીધું છે, આ વખતે તેમણે કહ્યું છે કે દેશની રક્ષા કારનારા ક્ષત્રિયોને વધુ ને વધુ સંતાનોને પેદા કરવી જોઈએ, જો ક્ષત્રિય કુલ નષ્ટ થઇ જશે તો દેશની રક્ષા કોણ કરશે? નોંધનીય છે કે આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જનસંખ્યા નિયંત્રણને લઈને તેનો પક્ષ રજૂ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં સરકાર પોતાનો પક્ષ સ્પષ્ટ કરી ચૂકી છે
સુપ્રીમ કોર્ટમાં સરકારે દાખલ કરેલી એફિડેવિટ મુજબ કેન્દ્ર સરકારે કહ્યું છે કે ભારતમાં કોને કેટલી સંતાનો થાય તે પતિ પત્નીએ આપસમાં નક્કી કરવાનું છે, સરકાર આ મુદ્દે કોઈ પણ જબરદસ્તી નહિ કરે કે કોઈ આટલી નિશ્ચિત સંખ્યામાં જ સંતોને જન્મ આપે" આ જ સમયે ભાજપના વિવાદાસ્પદ સાંસદ તરીકેની છાપ ધરાવતા સાધ્વી પ્રજ્ઞા એ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું હતું.
આ નિવેદન બાદ સાધ્વી પ્રજ્ઞા એ વધુમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય હંમેશા રાષ્ટ્રની રક્ષા કરે છે અને તેઓ તેમની વધુ ને વધુ સંતાનોને જન્મ આપે તે વધુ સારું છે, જો ક્ષત્રિય કુલનો નાશ થઇ જાય તો દેશની રક્ષા કોણ કરશે અને જનસંખ્યા નિયંત્રણ કાયદો એવા લોકો પર લાગૂ કરવામાં આવે જેઓ રાષ્ટ્રદ્રોહી છે અને તેવી પ્રવૃત્તિઓમાં લિપ્ત છે.
ખેડૂત આંદોલનને દેશવિરોધી લોકોનું આંદોલન ગણાવ્યું
આ સિવાય પણ તેમણે ઘણા મુદ્દે વાત કરી હતી જેમાં કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહ અને મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું, તેમણે કહ્યું હતું કે દિગ્વિજય સિંહ જેવા લોકોને રાજા કહેવા જોઈએ નહિ, કેમ કે તેઓ ભગવા ને આતંકવાદી કહીને દેશ અને હિન્દુત્વનું અપમાન કરે છે આ લોકો ક્ષત્રિય નથી, સાથે જ તેમણે મમતા બેનર્જી ને લઈને કહ્યું હતું કે બંગાળના સીએમ પાગલ થઇ ગયા છે, તેઓ જાણે છે કે બંગાળ એ અખન્ડ ભારતનો ભાગ છે અને ત્યાં હિન્દુ અને ભાજપનું શાસન આવશે.
આ સિવાય આરક્ષણના મુદ્દે તેમને કહ્યું હતું કે ગરીબોને આરક્ષણ મળવું જોઈએ, કે જેનાથી તેઓ તેમનું જીવન સારી રીતે વીતાવી શકે, તેના માટે આર્થિક આધાર પર આરક્ષણ મળવું જોઈએ, આ સિવાય ખેડૂત આંદોલનને તેમણે દેશવિરોધી લોકોનું આંદોલન કહ્યું હતું, તેમને જણાવ્યું હતું કે તેમાં ડાબેરીઓ અને કોંગ્રેસીઓ સામેલ છે અને ખેડૂતોના વેશમાં તેઓ લોકોમાં ભ્રમ ફેલાવી રહયા છે.