સામાન્ય માનવી પર ફરી એક વાર દૂધના ભાવમાં વધારો ઝીંકાઇ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચોમાસું ડેરી બિઝનેસ માટે મહત્ત્વપૂર્ણ હોય છે, પરંતુ આ વખતે ચોમાસામાં વિલંબ અને અત્યાર સુધીમાં મોટા ભાગના ડેરી બિઝનેસ ધરાવતાં રાજ્યોમાં ઓછા વરસાદને લઇને ઘાસચારાનું ઉત્પાદન ઘટ્યું છે.
આ સંજોગોમાં ખેડૂતોને ગાય અને ભેંસ પાછળ ખર્ચ વધુ કરવો પડી રહ્યો છે. પરિણામે ખેડૂતોનો ખર્ચ વધવાથી કાચા દૂધના ભાવ વધી ગયા છે અને આ સ્થિતિમાં ગયા મહિને અમૂલ જેવી મોટી કંપનીઓએ દૂધના ભાવમાં પ્રતિલિટર રૂ. ૨નો વધારો ઝીંક્યો હતો. એટલા માટે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ખેડૂતોનો ખર્ચ વધ્યા બાદ ડેરી કંપનીઓ ફરીથી દૂધના ભાવ વધારવાનો નિર્ણય લઇ શકે છે.
ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજિટેબલ પ્રા.લિ. દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં એવું જણાવાયું છે કે ચોમાસામાં વિલંબના કારણે ખેડૂતોને ચૂકવવામાં આવતા કાચા દૂધના ભાવ વધી ગયા છે, પરંતુ આગામી દિવસોમાં ચોમાસું વેગ પકડશે એવી આશા છે. તેથી કંપની સ્થિતિ પર નજર રાખી રહી છે.
પરાગ મિલ્ક ફૂડ લિ. દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે લાંબો ઉનાળો અને ચોમાસામાં વિલંબથી ઘાસચારાનો સપ્લાય ઘટી ગયો છે અને તેનાથી દૂધમાં પણ ઘટાડો થયો છે. આ સંજોગોમાં ખેડૂતોને ચૂકવવાપાત્ર કાચા દૂધના ભાવ વધી ગયા છે, જોકે કંપની ચોમાસાને લઇને આશાવાદી છે. ઘાસચારાનો સપ્લાય સુધરવાની પણ આશા છે તેથી આગામી એક-બે મહિનામાં દૂધની કિંમત સામાન્ય થઇ જશે. છેલ્લા બે વર્ષની વાત કરીએ તો કાચા દૂધના ભાવમાં કોઇ મોટો વધારો જોવાયો નથી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ ચૂકી છે.