રાજસ્થાનના રમતગમત રાજ્ય મંત્રી અશોક ચંદનાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને ખુલ્લી ધમકી આપી
રાજસ્થાનમાં કોંગ્રેસના મંત્રી પર ચાલુ સભાએ જૂતાં ફેંકવામાં
જ્યાંથી જૂતાં ફેંકાયા ત્યાં સચિન પાયલટ ઝિંદાબાદના નારા લાગ્યા
મંત્રીએ કહ્યું મારા પર જૂતાં ફેંકાવીને પાયલોટ CM બને છે, તો તે જલ્દી કરવું જોઈએ
ચૂંટણી પહેલા હાલ કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે તેવામાં રાજસ્થાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનમાં બે જૂથોમાં વહેંચાયેલી કોંગ્રેસમાં હવે નવો વિવાદ સર્જાયો છે. રાજસ્થાનના રમતગમત રાજ્ય મંત્રી અશોક ચંદનાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને ખુલ્લી ધમકી આપી છે. વાત જાણે એમ છે કે, સોમવાર, 12 સપ્ટેમ્બરના રોજ જ્યારે અશોક ચંદના અજમેરમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા. ત્યારબાદ ઘણા લોકોએ મંત્રી પર જૂતા ફેંક્યા હતા. જે બાદમાં નારાજ અશોક ચંદનાએ મોદી રાત્રે ટ્વિટ કરી નારાજગી વ્યક્ત કરી હતી.
રાજસ્થાનના અજમેરમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા અશોક ચંદના ભાષણ આપી રહ્યા હતા. આ દરમ્યાન અચાનક કેટલાક લોકોએ મંત્રી પર જૂતા ફેંક્યા હતા. જે બાજુથી ચંપલ અને અન્ય વસ્તુઓ સ્ટેજ તરફ ફેંકવામાં આવી હતી. તે બાજુથી સચિન પાયલટ ઝિંદાબાદના નારા લાગ્યા હતા. જૂતા ફેંકવાથી નારાજ મંત્રી અશોક ચંદનાએ રાત્રે 10:05 વાગ્યે ટ્વિટ કરીને સચિન પાયલટને ધમકી આપી હતી. ચંદનાએ ટ્વીટ કરીને લખ્યું કે 'જો સચિન પાયલોટ મારા પર જૂતું ફેંકીને મુખ્યમંત્રી બને છે, તો તે જલ્દી કરવું જોઈએ કારણ કે આજે મને લડવાનું મન નથી થતું. જે દિવસે હું લડવા આવીશ ત્યારે માત્ર એક જ બચશે અને મારે આ જોઈતું નથી.' ચંદનાની આ ધમકીથી પાર્ટીમાં હવે નવો જંગ છેડાઈ ગયો છે.
શું હતો સમગ્ર મામલો ?
12 સપ્ટેમ્બરના રોજ અજમેરમાં ગુર્જર સમાજના નેતા સ્વર્ગસ્થ કર્નલ કિરોરી સિંહ બૈંસલાના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા, જેમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા, બીજેપી પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, વિપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠોડ, અજમેરના સાંસદ ભગીરથ ચૌધરી, સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત, આરટીડીસીના અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ રાઠોડ વગેરે હાજર હતા. જેમાં ભાજપ ઓબીસી સેલના પ્રદેશ પ્રમુખ ઓમપ્રકાશ ભડાના, ધારાસભ્ય વાસુદેવ દેવનાની સામેલ થયા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ આવી શક્યા ન હતા. જ્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા ત્યારે ભીડમાં યુવાનોનું એક જૂથ સચિન પાયલટના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા અને કેબિનેટ મંત્રી શકુંતલા રાવતના ભાષણ દરમિયાન પણ યુવાનોના એક જૂથે વિરોધ કર્યો હતો અને સચિન પાયલટ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. રાજ્યમંત્રી અશોક ચાંદના ભાષણ આપવા આવ્યા ત્યારે યુવાનોના એક જૂથે મંત્રી પર જૂતા, ખાલી બોટલો અને અન્ય વસ્તુઓ ફેંકી દીધી હતી. આનાથી નારાજ થઈને મંત્રીએ ભાષણ અધવચ્ચે જ છોડી દીધું હતું.
मुझ पर जूता फकवाकर सचिन पायलट यदि मुख्यमंत्री बने तो जल्दी से बन जाए क्योंकि आज मेरा लड़ने का मन नहीं है।
जिस दिन मैं लड़ने पर आ गया तो फिर एक ही बचेगा और यह मैं चाहता नहीं हूँ।
સચિન પાયલટનું સમર્થન કરતા ધારાસભ્યો છેલ્લા કેટલાક દિવસોથી પાયલટને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. જાહેર મંચો પર ખુલ્લેઆમ નિવેદનો આપવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પણ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આ દરમ્યાન અજમેરમાં પાયલોટ તરફી રહેલા કેટલાક યુવકો દ્વારા મંત્રી અશોક ચંદના પર જૂતા ફેંકવામાં આવ્યા હતા. મંત્રી અશોક ચંદનાએ અજમેરમાં બનેલી આ ઘટનાનો સીધો સંબંધ સચિન પાયલટ સાથે જોડ્યો હતો. ચંદનાએ પોતાના ટ્વીટ દ્વારા સચિન પાયલટ પર જૂતા ફેંકવા માટે જવાબદાર ઠેરવ્યા હતા.
जिस मंच पर जूते फेंके गए उस पर शहीदों के परिवारजन बैठे थे कम से कम उनका तो ख्याल कर लेते।
कर्नल साहब की अंतिम स्मृति को ऐसे कलंकित करने वाले लोग कितना दूर तक जाएंगे यह तो वक्त बताएगा... T-2
સૌથી મોટો સવાલ એ છે કે, જો કેટલાક સમર્થકોએ આવું કૃત્ય કર્યું છે તો શું તેના માટે સચિન પાયલટ જવાબદાર છે ? અશોક ચંદનાનું ટ્વીટ રાજકીય ટ્વિટ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સચિન પાયલટને નુકસાન પહોંચાડવા માટે આ ટ્વીટ જાણી જોઈને કરવામાં આવ્યું છે. જેથી પાર્ટીમાં સચિન પાયલટનો વિરોધ શરૂ થઈ શકે. રાજ્ય મંત્રી અશોક ચંદના પર જૂતા ફેંકવાની ઘટના સોમવારે 12 સપ્ટેમ્બરે બપોરે બની હતી પરંતુ મંત્રી રાત્રે 10:05 વાગ્યે ગુસ્સે થઈ ગયા હતા. ઘટનાના લગભગ 9-10 કલાક પછી મંત્રીએ ગુસ્સે થઈને સચિન પાયલટને ખુલ્લેઆમ ધમકી આપી તેની પાછળ રાજકીય કારણ છે.
નોંધનીય છે કે, કોંગ્રેસના ઘણા ધારાસભ્યો સતત સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. આ દરમ્યાન જૂતા ફેંકવાના કૃત્યથી અશોક ગેહલોત જૂથને સચિન પાયલટ પર રાજકીય હુમલો કરવાની તક મળી છે. પાયલટના વિરોધીઓને એક એવો મુદ્દો મળી ગયો છે જેના દ્વારા તેઓ તેને પાર્ટીમાં ઘેરી શકે છે. જોકે દર વખતની જેમ આ વખતે પણ સચિન પાયલટે જવાબ આપવાની ઉતાવળ કરી નથી.