ગાંધીનગર વિધાનસભામાં કોંગ્રેસના એક પછી એક 4 ધારાસભ્યોએ કોરોના મુદ્દે સરકાર પર ઉઠાવ્યા સવાલ, પ્રતાપ દૂધાતે કહ્યું કે, કોરોના બહેરો હતો એટલે આપણે..
કોરોનાના વધતા કેસ મામલે વિપક્ષે ચૂંટણી પંચને પણ સવાલો પૂછ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ચૂંટણીના આયોજન સામે પ્રશ્ન ઉઠાવ્યો. ખેડાવાલાએ કહ્યું કે, પરિસ્થિતિને જોતા ચૂંટણીઓ પાછી ઠેલવી જોઈએ. ચૂંટણી યોજી સરકારે વધુ લોકોને સક્રમિત કર્યા. ઈમરાન ખેડાવાલાએ ચૂંટણી પંચ પાસે પણ જવાબ માગતા કહ્યું કે, ધંધા-રોજગાર, શાળા, બસ બંધ છે ત્યારે ચૂંટણી શા માટે? કોરોના નાબૂદ થાય ત્યાર બાદ જ ચૂંટણીઓ યોજવી જોઈએ. ચૂંટણીઓ થશે તો કોરોના સંક્રમણ પણ વધશે.
પ્રતાપ દૂધાતે કહ્યું કે, કોરોના બહેરો હતો એટલે..
કોરોનાના લઇ સરકાર પર કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે કટાક્ષ કર્યા છે. તેણે જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં આપણે થાળી, વાટકી અને ઘંટ વગાડ્યાં. કોરોના બહેરો હતો એ ખબર ન હતી. ભાજપ-કોંગ્રેસે કોરોનામાં ભાન ભૂલી પ્રચાર કર્યો છે. અમરેલીમાં 9 દંપતીઓના લગ્નને રદ કરવામાં આવ્યા હતાં. 15 કિમી દૂર ભાજપના કાર્યક્રમને કંઈ ન થયું. તેમજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોરોના ન ફેલાયો. હવે 9 વાગ્યા બાદ ધંધો કરનાર માટે કોરોના આવી જાય છે. કોરોનાના નિયમો તમામ લોકો માટે એક સરખા હોવા જોઈએ.
કોંગ્રેસ ધારાસભ્ય પૂંજા વંશે ભ્રષ્ટાચારના આક્ષેપ
કોરોનાકાળમાં સરકાર દ્વારા ભ્રષ્ટાચારના કોંગ્રેસના ધારાસભ્યએ આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે રાજ્ય સરકાર પર કોરોના સમયે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કર્યો છે. માસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ, દવાની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. બજાર કિંમત કરતા વધુ કિંમતે વસ્તુઓ ખરીદાય છે. માસ્ક, દવાઓ ખરીદનાર અધિકારીઓ સામે તપાસની માંગ કરવામાં આવી છે. પૂંજા વંશે કહ્યું કે, આ મામલે ન્યાયીક તપાસ કરવામાં આવે. અધિકારી દોષિત ઠરે તો કડક કાર્યવાહી થવી જોઇએ.
વિરજી ઠુમ્મરે કહ્યું કે, કોરોના પાછળ કોંગ્રેસ પણ..
કોરોનાના કેસ વધતા જનભાવનાઓ સાથે હવે નેતાઓ પણ જોડાયા છે. કોંગ્રેસના ધારાસભ્યએ આખરે કબૂલાત કરી છે કે, કેસ વધવા પાછળ ચૂંટણીઓ જવાબદાર છે. કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ગૃહમાં કબૂલાત કરી છે કે ચૂંટણીના કારણે રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કેસ વધવા પાછળ કોંગ્રેસ પાર્ટી પણ એટલી જ દોષિત છે. ચૂંટણીમાં તાયફાઓ કર્યા માટે કેસ વધ્યા છે. સાથે જ ઠુમ્મરે કહ્યું કે કોરોનાના કારણે મધ્યમ વર્ગની ગરીબી રેખા વધુ નીચે પહોંચી છે.