તમામ પક્ષોએ દલિતોને આકર્ષવા આગવા કાર્યક્રમો ગોઠવ્યા ભાજપ રાજ્ય ભરમાં પદયાત્રા કાઢશે - મુખ્ય પ્રધાન આદિત્યનાથને 'દલિત મિત્ર'નો ખિતાબ એનાયત થશે
બંધારણના શિલ્પી બાબાસાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે. આ પ્રસંગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉત્તર પ્રદેશમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાંના તમામ પક્ષોએ આ જયંતિ અંગે પોતપોતાની રીતે ઉજવણી કરવા નિર્ણય કર્યો છે.
આ અંગે જીલ્લા મેજીસ્ટ્રેટ જિલ્લા પોલીસ વડાઓને તેમના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ છમકલું થવા ન પામે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવા ચુસ્ત બંદોબસ્ત કર્યો છે. આ ઉપરાંત સંપત્તિ કે કોઈ વ્યક્તિને નુકસાન ન પહોંચે તે માટે જે વિસ્તારોમાં જરૂરી હોય ત્યાં પ્રતિબંધાત્મક હુકમ (144મી કલમ) લાગુ કરવા પણ જણાવાયું છે.
2019ની સામાન્ય ચૂંટણી પૂર્વે ભાજપ દલીતોના ચાહક તરીકે પોતાની છાપ સ્થાપવા માંગે છે કેમકે ગત સામાન્ય ચૂંટણીમાં ભાજપે રાજ્યની 80 સંસદીય બેઠકોમાંથી 73 બેઠકો જીતી લીધી હતી અને ભાજપ પોતાની વિજય યાત્રા જાળવી શક્યું ન હતું.
તાજેતરની લોકસભાની પેટા ચૂંટણીમાં બે બેઠકો પર બસપાનો વિજય થયો હતો. તે સંજોગોમાં દરેક પક્ષે આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જેમાં ભાજપ દરેક જિલ્લાઓમાં આંબેડકર યાત્રા કાઢવા તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 'દલિત મિત્ર'ના ખિતાબથી નવાજવા માંગે છે.
આ સાથે દલિતોને પોતાના પક્ષે જાળવી રાખવા માયાવતી અને તેમનો પક્ષ બસપા પણ વિવિધ કાર્યક્રમો દ્વારા દલિતોને પોતાના પક્ષે એક કરવા માંગે છે તેની સાથે મુલાયમ અખિલેશ પ્રેરીત સપા પણ બસપા સાથેના સંબંધને સુધારવા પોતાની જાતે આ જયંતિ ઉજવવા માંગે છે.