કોરોના સામેની લડાઈમાં મોદી સરકારે ઓક્સિજન પ્લાન્ટ અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને બે મોટી જાહેરાત કરી છે.
162 ઓક્સિજન પ્લાન્ટને સરકારે મંજૂરી આપી
દેશના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરાશે
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને આપી જાણકારી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું કે કુલ 162 પ્રેશર સ્વિંગ એડશોર્પન ઓક્સિજન પ્લાન્ટને સરકારે મંજૂરી આપી છે. આનાથી મેડિકલ ઓક્સિજનની ક્ષમતા 154.19 મેટ્રિક ટન વધી જશે. આ માટેનો તમામ ખર્ચ પીએમ કેર્સ ફંડમાંથી થશે.
201.58 કરોડ રુપિયાનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે
162 પીએએમાં આવનાર 201.58 કરોડ રુપિયાનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે તેમાં 7 વર્ષનુ મેન્ટેનન્સ સામેલ છે. સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલા 162 પીએસએ પ્લાન્ટમાંથી 33 પ્લાન્ટ પહેલેથી જ સ્થાપિત થઈ ચૂક્યા છે. 5 મધ્યપ્રદેશમાં, 4 હિમાચલમાં ચંદીગઢ,ગુજરાત અને ઉત્તરાખંડમાં 3-3, બિહાર, કર્ણાટક અને તમિલનાડુમાં 2-2 આંધ્રપ્રદેશ,દિલ્હી,હરિયાણા,કેરળ,મહારાષ્ટ્ર,પુડુચેરી, પંજાબ અને યુપીમાં 1-1 પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.
રેમડેસિવિર માટે શું કરાયું
- મે સુધીમાં ઉત્પાદન 74.1 લાખ પ્રતિ મહિના વધશે
-ઉત્પાદન વધારવા માટે 20 પ્લાન્ટ્સને ઝડપી મંજૂરી અપાઈ છે.
- નિકાશ પર પ્રતિબંધ મૂકાયો છે.
- રેમડેસિવિરની કિંમતમાં ઘટાડો કરાયો છે.
-જમાખોરી અને કાળાબજારી અટકાવવા વિશેષ ધ્યાન આપવામાં આવશે.
કામચલાઉ હોસ્પિટલો શરુ કરીને બેડની સંખ્યા વધારવામાં આવશે
આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને જણાવ્યું કે કોરોના સામેની લડાઈમાં રાજ્યોને તમામ જરુરી સહાય ઉપલબ્ધ કરાવાઈ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોરોના સામે એકજૂટ થઈને લડાઈ લડવી હવે ભવિષ્યનો એકમાત્ર રસ્તો છે. તેમણે કહ્યું કે ઓક્સિજન પ્લાન્ટ, હોસ્પિટલ બેડ અને રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. કામચલાઉ હોસ્પિટલો શરુ કરીને બેડની સંખ્યા વધારવામાં આવશે. નાના રાજ્યોમાં દર સાત દિવસે અને મોટા રાજ્યોમાં દર ચાર દિવસે રસીનો સ્ટોક પહોંચાડવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર 2021 સુધીમાં કોવેક્સિનનો સપ્લાય 10 ગણો કરી નાખવામાં આવશે.