17 લાખ દીવા પ્રગટાવવાનો રાખવામાં આવ્યો છે લક્ષ્યાંક
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આ વખતે પણ દીપોત્સવને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અયોધ્યામાં 23 ઓક્ટોબરે દીપોત્સવ કાર્યક્રમ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે. આ સિવાય પીએમ મોદી ભગવાન રામના રાજ્યાભિષેકમાં પણ સામેલ થશે. પીએમ મોદીના આગમન પહેલા અહીં દીપોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું કરશે નિરીક્ષણ
આ વર્ષે અયોધ્યામાં 23 ઓક્ટોબરે દીપોત્સવ કાર્યક્રમ મનાવવામાં આવશે. તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી પણ આ વખતના દીપોત્સવ કાર્યક્રમમાં સામેલ થશે. તેઓ ભગવાન રામના રાજ્યાભિષેકમાં પણ સામેલ થશે. વડાપ્રધાન 23 ઓક્ટોબરે અયોધ્યા જશે. આ પછી સાંજે પાંચ વાગ્યે તેઓ રામલલાના દર્શન કરશે. સાથે જ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું નિરીક્ષણ પણ કરશે.
સરયુ ઘાટ પર આરતી અને દીપોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે
આ પછી PM મોદી સાંજે 6.30 વાગ્યે સરયુ ઘાટ પર આરતી અને દીપોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. જે બાદ તેઓ રાત્રે ગ્રીન અને ડિજિટલ આતીશબાજીને પણ નિહાળશે. આને લઈને અયોધ્યામાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અયોધ્યા ગયા હતા. ત્યારે તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં દીપોત્સવની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ વખતે પણ દીવાને પ્રગટાવીને નવો રેકોર્ડ બનાવાશે
આ વખતે અયોધ્યામાં છઠ્ઠો દીપોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આ વખતે પણ રેકોર્ડ દીવાને પ્રગટાવીને એક નવો કીર્તિમાન સ્થાપિત કરાશે. આ વખતે 17 લાખ દીવા પ્રગટાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અવધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે દ્વારા અપાયેલી માહિતી મુજબ, 21મીથી સરયૂ ઘાટ પર દીવા ગોઠવવાનું કામ શરૂ થશે. આ પછી 22મીએ દીવામાં તેલ રેડવામાં આવશે. તેમણે કહ્યું કે, આ કામ સમયસર પૂર્ણ થશે જેથી 23મીએ સાંજે માત્ર દીવા પ્રગટાવવાનું જ કામ બાકી રહે. વાઈસ ચાન્સેલરે કહ્યું કે અમે સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવીશું.