કઠુઆ ઉનાવ અને સુરત માંથી સામે આવેલ માસુમ બાળાઓ પર વધી રહેલા અત્યાચારના બનાવોને લઈ સરકારે ફાંસીની સજા સબંધિત બીલ પસાર કર્યા છે તેમ છતાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એક બળાત્કારનો કિસ્સો સામે આવતા સનસનાટી મચી ગઈ છે.
દેવ ભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તીર્થધામ નજીક આવેલ કુરંગા ગામનો એક બનાવ સામે આવ્યો છે. RSPLનામની કંપનીની મજુર વસાહતમાં એક શ્રમિક પરિવારની માત્ર ચાર વર્ષની માસુમ બાળકી સોમવારે એટલે કે ગઈ કાલે બપોરે રમવા ગયા બાદ રડતી અને લોહી લુહાણ હાલતમાં ઘરે પરત ફરી હતી. ગુપ્ત ભાગે લોહી નીતરતું હોવાથી અને બાળકીની કષ્ટદાઈ સ્થિતિને લઈને પરિવારજનો ડઘાઈ ગયા હતા.
માસુમ બાળકી સાથે અજુગતું બન્યાની આશંકા સાથે તેને જામનગર ખસેડી હતી. ગુપ્તભાગે સતત વહી જતા લોહીને જોઈ તબીબોએ બાળાને ગાયનેક વોર્ડમાં સારવાર આપી. આ ઘટનાને લઈ દ્વારકા પોલીસ ટીમ જામનગર દોડી આવી હતી. માસુમના માતા પીતાના બંધ બારણે નિવેદન અને ફરિયાદ નોંધી છે.
માસુમ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો પ્રાથમિક અંદાજ લગાવી તબીબોએ મેડીકલ પરીક્ષણ વિધિ હાથ ધરી છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે હાલ પોસ્કો અને બળાત્કાર સબંધીત ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.