કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સંબંધિત સંસદીય સમિતીની બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિનને લઈને એક મહત્વનો ખુલાસો કર્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો સમિતિ સમક્ષ ખુલાસો
બન્ને ડોઝ લેનાર લોકોને 9 મહિના સુધી ત્રીજા ડોઝની જરુર નથી
બૂસ્ટર ડોઝ નહીં પરંતુ ત્રીજો ડોઝ કહેવાશે
કોરોના વેક્સિનના બન્ને ડોઝ લેનાર લોકો માટે કામના સમાચાર આવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિનના બન્ને ડોઝ લેનાર લોકો માટે એવો ખુલાસો કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય વતી એવો ખુલાસો કરાયો છે કે કોરોના વેક્સિનના બન્ને ડોઝ લઈ ચૂકેલા લોકોને 9 મહિના સુધી ત્રીજા ડોઝની જરુર નથી. આ બૂસ્ટર ડોઝ નહીં પરંતુ ત્રીજો ડોઝ કહેવાશે.
અત્યાર સુધી ત્રીજા ડોઝ અંગેની કોઈ નીતિ બની નથી
મંત્રાલયે એવું પણ કહ્યું કે અત્યાર સુધી ત્રીજા ડોઝ અંગેની કોઈ નીતિ બની નથી. મંત્રાલયે સમિતિને એવું પણ જણાવ્યું કે બાળકોને વેક્સિન આપવા સંબંધિત હજુ સુધી કોઈ નિર્ણય લઈ શકાયો નથી પરંતુ તેની પર સંશોધન ચાલી રહ્યું છે.
સંપૂર્ણ ધ્યાન જીનોમ સિક્વન્સિંગ પર
આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ સમિતિને જણાવ્યું હતું કે તેમનું સંપૂર્ણ ધ્યાન જીનોમ સિક્વન્સિંગ પર છે અને તેના પર સતત સંશોધન ચાલી રહ્યું છે. સંસદીય સમિતિએ ઓમિક્રોન કેસમાં આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી રહેલા કાર્યો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને સભ્યો દ્વારા કરવામાં આવી રહેલા કાર્યની સખત પ્રશંસા કરી હતી.
બુસ્ટર ડોઝ લેવા માટે ભારતીયોનો વિદેશમાં ધસારો
એવા અહેવાલો છે કે ઘણા ભારતીયો બુસ્ટર રસી મેળવવા માટે અમેરિકા અને યુકે સહિત વિદેશમાં ઘણી જગ્યાએ જઈ રહ્યા છે. દેશમાં ઓમિક્રોનના જોખમને પહોંચી વળવા માટે રસીના બુસ્ટર ડોઝની માંગ વેગ પકડી રહી છે. મહારાષ્ટ્રના અનેક મંત્રીઓ સહિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ)એ કેન્દ્ર સરકારને પત્ર લખીને તમામ આરોગ્ય કર્મચારીઓને બુસ્ટર ડોઝ આપવા વિનંતી કરી છે. આઇએમએ, પુણે પ્રકરણના ડો. સંજય પાટીલે કહ્યું છે કે અત્યાર સુધીના અભ્યાસોએ બતાવ્યું છે કે થોડા સમય પછી રસીની અસર માં નોંધપાત્ર ઘટાડો થાય છે.