ઓમિક્રોન વેરિઅન્ટને લઇને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે ભાવનગરનું તંત્ર પણ એલર્ટ મોડમાં દેખાઇ રહ્યું છે.
ઓમીક્રોનને લઇ ભાવનગરમાં એલર્ટ
આરોગ્ય વિભાગે કરી તૈયારી
બહારથી આવતા લોકના કરાશે ટેસ્ટિંગ
ભાવનગર સિવિલ હોસ્પિટલ અને મહાનગર પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
તંત્રએ યુદ્ધના ધોરણે હાથ ધરી તૈયારીઓ
ભાવનગર બહારથી આવતા તમામ લોકોના ટેસ્ટિંગ કરવાની સુવિધા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ દ્વારા પણ બેડથી ઓક્સિજન સુધીની તમામ સુવિધા વધારી દીધી છે.
ઓક્સિજન પ્લાન્ટ પણ રખાયો તૈયાર
નોંધનીય છે કે, હોસ્પિટલમાં 30,000 થી વધુ ક્ષમતા વાળા ઓક્સિજન પ્લાન્ટ પણ હાલ તૈયાર છે, તાલીમ બદ્ધ તબીબો અને નર્સ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફનું પણ લિસ્ટ અને તેમને ગમે ત્યારે કામે લાગી જવા માટે ની સૂચના પણ આપી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકાર પણ સતર્ક
દુનિયાભરમાં ઓમિક્રૉન વેરિયન્ટને લઈને ભારત સહિત દુનિયભરનાં દેશો હવે સતર્ક થઈ ગયા છે. ભારતમા કોરોના વાયરસને લઈને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે, આજે સવારે જ કેન્દ્ર સરકારનાં અધિકારીઓ અને તમામ રાજ્યો વચ્ચે હાઇલેવલ બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યોને કેન્દ્ર સરકાર 6 પોઈન્ટમાં કામ કરવાનો માસ્ટર પ્લાન આપ્યો છે.
કેન્દ્રના રાજ્યોને આદેશ
કેન્દ્ર સરકારે કહ્યું કે જો નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવશે તો ઓમિક્રૉનને હરાવવામાં સફળતા મળી શકે છે. હેલ્થ સેક્રેટરીએ તમામ રાજ્યોના કહ્યું છે કે ટેસ્ટિંગ વધારવામાં આવે જેથી ડિટેકશન અને કેસોનું મેનેજમેન્ટ થઈ શકે.
શું છે માસ્ટર પ્લાન
હેલ્થ સેક્રેટરીએ એમ પણ કહ્યું કે નિષ્ણાતોનું માનવું છે કે આ વેરિયન્ટ RTPCR અને એન્ટિજન ટેસ્ટને પણ ચકમો આપી શકે છે. લોકોને આઇસોલેશન રાખવા માટે અત્યારથી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. 6 સૂત્રીય માસ્ટર પ્લાન હેઠળ કન્ટેનમેન્ટ ઝોન તૈયાર કરવા, સર્વિલાન્સ, ટેસ્ટિંગ, હોટસ્પોટ પર નજર રાખવી અને વેક્સિનેશન વધારવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલયનાં આદેશ જાહેર: લાગુ ગાઈડલાઇનને જ લંબાવવામાં આવી
ભારતમા કોરોના વાયરસને લઈને ફરીવાર ચિંતા વધી રહી છે. દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે ચિંતા વધી રહી છે. દુનિયાના અનેક દેશોમાં નવા વેરિયન્ટનાં કારણે પ્રતિબંધો વધી રહ્યા છે. ત્યારે ભારતમા પણ કોરોના વાયરસને લઈને હાલમાં લાગુ ગાઈડલાઇનને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 30 નવેમ્બરનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યા છે જેમા કોરોના વાયરસથી બચવા માટે 21મી સપ્ટેમ્બરથી લાગુ એડવાઇઝરીને જ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું છે. આ સાથે જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સને લઈને કડકાઇ રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
WHO પણ કરી રહી છે સંશોધન
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પણ હાલ તો આ નવા વેરિઅન્ટ પર ખુલીને કંઈ બોલી રહ્યું નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યાર સુધી જે પણ પરિણામો આવ્યા છે તે ખૂબ જ પ્રારંભિક તબક્કા છે. તેથી, કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવા માટે વધુ અભ્યાસની જરૂર છે.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે યુનિવર્સિટીઓમાં જે પ્રારંભિક સંશોધન કરવામાં આવ્યું છે તે યુવાનો પર કરવામાં આવ્યું છે. યુવાન લોકોને પહેલાથી જ વધુ ગંભીર રોગ નથી, તેથી આના પર વિગતવાર અહેવાલમાં થોડા અઠવાડિયા લાગી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકામાં સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે આનું કારણ ઓમિક્રોન છે કે બીજું કોઈ કારણ છે.
કેટલો ખતરનાક છે ઑમિક્રોન વેરિએન્ટ?
વિશ્વભરના નિષ્ણાંતોનો દાવો છે કે ઓમિક્રોન જેવા ખતરનાક વેરિએન્ટ પર મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપીની કોઈ અસર થતી નથી. આ વેરિએન્ટની તાકાત અને લક્ષણોને લઇને નવી વાતો સામે આવી છે. દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોમાં ઓમિક્રોન ઈન્ફેક્શનના પ્રારંભિક વિશ્લેષણના આધારે તેને ડેલ્ટા વેરિએન્ટથી છ ગણો વધારે શક્તિશાળી જણાવવામાં આવી રહ્યો છે. ડેલ્ટા એ જ વેરિએન્ટ છે, જેણે ભારતમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન ધમાલ મચાવી હતી. આ વેરિએન્ટ ઈમ્યુન સિસ્ટમને પણ ખરાબ કરી શકે છે. ન્યુયોર્ક ટાઈમ્સની એક રિપોર્ટ મુજબ, ઓમિક્રોન ગત વેરિએન્ટથી વધુ ખતરનાક છે અને વેક્સિનેશન અથવા નેચરલ ઈન્ફેક્શનથી થતી ઈમ્યુન સિસ્ટમને પણ બિનઅસરકારક કરી નાખે છે.
કેવા છે ઓમિક્રોન ઈન્ફેક્શનના લક્ષણો?
દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલાં એમિક્રોન વેરિએન્ટ ઓળખનારી એક તબીબે એક જાણીતી ન્યુઝ સંસ્થાને કહ્યું, મેં તેના લક્ષણ સૌથી પહેલાં નાની ઉંમરના એક શખ્સમાં જોયા હતા. જે અંદાજે 30 વર્ષનો હતો. તેમણે જણાવ્યું કે દર્દી ખૂબ થાકેલો રહેતો હતો. તેને હળવા માથાના દુ:ખાવાની સાથે આખા શરીરમાં દુ:ખાવાની ફરિયાદ રહેતી હતી. ગળામાં ખારાશની જગ્યાએ ગળુ છોલાઈ જતુ હતુ. આ શખ્સને ઉધરસ આવતી નહોતી અને સ્વાદ ના આવે તેવા પણ કોઈ લક્ષણો ન હતા. જોકે, તબીબોએ દર્દીઓના એક નાના સમુહને જોઈને આ પ્રતિક્રિયા આપી હતી. મોટાભાગના લોકોમાં તેના લક્ષણો કેવા હશે તેને લઇને હજી સુધી કોઈ સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો નથી.
ભારત સરકાર શું કરી રહી છે?
કોરોનાના નવા વેરિયન્ટને પગલે ભારત સરકાર પણ સતર્ક બની છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોએ લેટર લખીને વિદેશથી આવતા તમામ મુસાફરોના જીનામ સિક્વન્સર માટે રાજ્યોને કોવિડ ટેસ્ટ કરવાનું કહ્યું છે. કેન્દ્ર સરકારે જોખમ યાદી ધરાવતા દેશોની સૂચિ તૈયાર કરી છે અને ત્યાંથી આવતા મુસાફરો પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. આ દેશો યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોંગ અને ઇઝરાયલ છે. જે લોકો આ દેશોમાંથી ભારત આવે છે તેમણે ૧૪ દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવું પડશે અને રવાના થવાના ૪૮ કલાક પહેલા કોવિડ ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરવો પડશે.