સ્વીડનની યુનિવર્સિટી ઓફ ગોથેનબર્ગના સ્ટડીમાં ઓમિક્રોનને લઈને એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
ઓમિક્રોનને લઈને સ્વીડનની યુનિવર્સિટીનો મોટો સ્ટડી
ઉચ્ચ બોડી માસ ઇન્ડેક્સ ધરાવતા લોકોને કોરોનાથી મોતનું બમણું જોખમ
ICU માં દાખલ થવાના પણ બમણો ખતરો
કોરોનોના નવા વેરિએન્ટ ઓમિક્રોનના જોખમ વચ્ચે એક નવા સ્ટડીમાં ચોંકાવનારી વાત સામે આવી છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો ઉચ્ચ બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) ધરાવે છે તેઓ જો કોવિડથી સંક્રમિત હોય તો મૃત્યુનું જોખમ બમણું હોય છે. આવા દર્દીઓને આઈસીયુમાં દાખલ થવાનું જોખમ પણ બમણું છે
સ્વીડનની યુનિવર્સિટી ઓફ ગોથેનબર્ગ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટડીમાં કોરોનાગ્રસ્ત 1500 દર્દીઓને સામેલ કરાયા હતા. સ્ટડીના અંતે જણાયું કે જે લોકો જાડિયા હતા અને કોરોનાગ્રસ્ત હતા તેમને ICU માં દાખલ થવાનો વારો આવ્યો હતો.
કયા લોકોને કોરોનાથી મોતનું બમણું જોખમ
વધારે બોડી માસ ઈન્ડેક્સ ધરાવતા અથવા તો બીજી ભાષામાં કહીએ તો વધારે વજન ધરાવતા, જાડિયા લોકોને કોરોનાથી મોતનો બમણો ખતરો રહેતો હોય છે.
બોડી માસ ઇન્ડેક્સ (BMI) શું છે?
બીએમઆઈ (BMI) એ શરીરની લંબાઈ અને વજનનો ગુણોત્તર છે. એટલે કે બોડી માસ ઇન્ડેક્સ સૂચવે છે કે શરીરનું વજન લંબાઈ પ્રમાણે સારું છે કે નહીં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિનો બીએમઆઈ 25 કે તેથી વધુ હોય તો તેનું વજન વધારે હોય છે. બીજી તરફ, જો કોઈ વ્યક્તિનો બીએમઆઈ 30 કે તેથી વધુ હોય તો તે સ્થૂળતાથી પીડાઈ રહ્યો છે.
મેદસ્વિતા ધરાવતા લોકોને આઈસીયુમાં દાખલ થવાનું પણ બમણું જોખમ
યુનિવર્સિટી ઓફ ગોથેનબર્ગના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, 'કોવિડ-19થી સંક્રમિત દર્દીઓમાં મૃત્યુનું જોખમ અને આઇક્યુમાં લાંબા સમય સુધી રોકાણ કરવાનું જોખમ તેમના બોડી માસ ઇન્ડેક્સ સાથે જોડાયેલું હતું. સ્ટડીના સંશોધકે કહ્યું કે અભ્યાસમાંથી પ્રાપ્ત માહિતીના આધારે અમે સૂચવીએ છીએ કે કોવિડ-19થી સંક્રમિત દર્દીઓ, જેઓ મેદસ્વી છે, જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે તેમને નજીકથી દેખરેખ હેઠળ રાખવા જોઈએ.'
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, 'અમારું સંશોધન કહે છે કે લોકોએ તંદુરસ્ત વજન જાળવવું જોઈએ. વજન ઓછું કરવાથી ટાઇપ 2 ડાયાબિટીસ, કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને વિવિધ પ્રકારના કેન્સરનું જોખમ ઓછું થાય છે.'
વજન ઘટાડવા માટે શું કરવું?
નિષ્ણાતોના મતે વજન અચાનક ઓછું ન કરવું જોઈએ, પરંતુ તંદુરસ્ત પદ્ધતિ અપનાવીને ધીરે ધીરે વજન ઘટાડવું યોગ્ય માનવામાં આવે છે. જો તમે કોવિડના વધતા જોખમ વચ્ચે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો આ બાબતોને ધ્યાનમાં રાખો:
- સંતુલિત અને તંદુરસ્ત આહાર લો. લીલા શાકભાજી અને ફળોની માત્રા ખોરાકમાં વધુ રાખો.
- સક્રિય રહો અને નિયમિત કસરત કરો
- સારી ઊંઘ લો અને તણાવ ઓછો કરો.
- દારૂ અને ધૂમ્રપાનથી દૂર રહો