વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોવિડ-19ના નવા પ્રકાર ઓમિક્રોન (Omicron) અંગે ચેતવણી જાહેર કરી છે. WHOનું કહેવું છે કે ઓમિક્રોનને લઈને જોખમ ઘણું વધારે છે.
ઓમિક્રોન વેરિયન્ટે વિશ્વભરની વધારી ચિંતા
WHOએ જાહેર કરી હાઈ રિસ્ક ચેતવણી
વિશ્વભરમાં 160 કેસ નોંધાયાની કરી વાત
WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટને વિશ્વભરમાં ફેલાવવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ગંભીર પરિણામો જોવા મળી શકે છે. નોંધનીય છે કે કોવિડ-19ના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને સર્જાઈ રહેલ દહેશત વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે વિશ્વભરમાં ઓમિક્રોનના લગભગ 160 કેસ સામે આવ્યા છે. યુરોપના ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સ હાજર છે.
યુરોપમાં વ્યાપક ફેલાવો
આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ, બોત્સ્વાના, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ઇઝરાયેલ, બેલ્જિયમ, ચેક રિપબ્લિક, ઇટાલી, જર્મની અને હોંગકોંગ આમાં સામેલ છે. યુરોપમાં વ્યાપક ફેલાવો જોવા મળ્યો છે. માહિતી અનુસાર, દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19ના નવા પ્રકાર ઓમિક્રોનના 99 કેસ છે. અત્યાર સુધીમાં હોંગકોંગમાં 25, નેધરલેન્ડમાં 13, બોત્સ્વાનામાં 6 અને બ્રિટનમાં 3 કેસ નોંધાયા છે. ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક અને બેલ્જિયમમાં બે-બે કેસ છે જ્યારે ઇઝરાયેલ, ચેક રિપબ્લિક, ઇટાલી અને જર્મનીમાં 1-1 કેસ છે. હાલમાં, ભારતમાં Omicron વેરિયન્ટનો એક પણ કેસ નથી.
WHOના ચીફ વૈજ્ઞાનિકનું નિવેદન
WHOના ચીફ વૈજ્ઞાનિક ડૉ. સૌંમ્યા સ્વામીનાથને જણાવ્યું કે ડેલ્ટા વેરિઅન્ટ આવ્યો હતો ત્યારે પણ આવું જ કહેવાતું હતું કે રસીને બિનઅસરકારક બનાવી દેશે. જોકે એવું નથી..કોઈપણ વેરિઅન્ટ રસીને સંપૂર્ણ બિનઅસરકારક ન બનાવી શકે. રસી કોઈપણ વેરિઅન્ટની ક્ષમતાને ઘટાડી શકે છે.. જેથી વેક્સિનના બન્ને ડોઝ તમામ લોકોએ ઝડપથી લઈ લેવા જોઈએ. જેથી આવા વેરિઅન્ટ વિરુદ્ધ વેક્સિન વ્યક્તિને સુરક્ષા આપી શકે છે.
બેંગ્લુરુ એરપોર્ટ પર સાઉથ આફ્રિકાથી ભારત આવેલા બે લોકો કોરોના પોઝિટીવ
બેંગ્લુરુ રૃરલ ડિસ્ટ્રીક્ટ કલેક્ટરે જણાવ્યું કે બેંગ્લુરુ એરપોર્ટ પર સાઉથ આફ્રિકાના બે નાગરિકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. કર્ણાટકના મંત્રી આર અશોકાએ જણાવ્યું કે સાઉથ આફ્રિકામાંથી આજે 1000 લોકો બેંગ્લુરુ આવ્યાં છે જેમના તમામના ટેસ્ટ કરાયા હતા અને તેમાંથી બે પોઝિટીવ નીકળ્યાં છે.
કેટલો ખતરનાક છે ઑમિક્રોન વેરિએન્ટ?
વિશ્વભરના નિષ્ણાંતોનો દાવો છે કે ઓમિક્રોન જેવા ખતરનાક વેરિએન્ટ પર મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપીની કોઈ અસર થતી નથી. આ વેરિએન્ટની તાકાત અને લક્ષણોને લઇને નવી વાતો સામે આવી છે. દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોમાં ઓમિક્રોન ઈન્ફેક્શનના પ્રારંભિક વિશ્લેષણના આધારે તેને ડેલ્ટા વેરિએન્ટથી છ ગણો વધારે શક્તિશાળી જણાવવામાં આવી રહ્યો છે. ડેલ્ટા એ જ વેરિએન્ટ છે, જેણે ભારતમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન ધમાલ મચાવી હતી. આ વેરિએન્ટ ઈમ્યુન સિસ્ટમને પણ ખરાબ કરી શકે છે. ન્યુયોર્ક ટાઈમ્સની એક રિપોર્ટ મુજબ, ઓમિક્રોન ગત વેરિએન્ટથી વધુ ખતરનાક છે અને વેક્સિનેશન અથવા નેચરલ ઈન્ફેક્શનથી થતી ઈમ્યુન સિસ્ટમને પણ બિનઅસરકારક કરી નાખે છે.
કેવા છે ઓમિક્રોન ઈન્ફેક્શનના લક્ષણો?
દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલાં એમિક્રોન વેરિએન્ટ ઓળખનારી એક તબીબે એક જાણીતી ન્યુઝ સંસ્થાને કહ્યું, મેં તેના લક્ષણ સૌથી પહેલાં નાની ઉંમરના એક શખ્સમાં જોયા હતા. જે અંદાજે 30 વર્ષનો હતો. તેમણે જણાવ્યું કે દર્દી ખૂબ થાકેલો રહેતો હતો. તેને હળવા માથાના દુ:ખાવાની સાથે આખા શરીરમાં દુ:ખાવાની ફરિયાદ રહેતી હતી. ગળામાં ખારાશની જગ્યાએ ગળુ છોલાઈ જતુ હતુ. આ શખ્સને ઉધરસ આવતી નહોતી અને સ્વાદ ના આવે તેવા પણ કોઈ લક્ષણો ન હતા. જોકે, તબીબોએ દર્દીઓના એક નાના સમુહને જોઈને આ પ્રતિક્રિયા આપી હતી. મોટાભાગના લોકોમાં તેના લક્ષણો કેવા હશે તેને લઇને હજી સુધી કોઈ સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો નથી.
ભારત સરકાર શું કરી રહી છે?
કોરોનાના નવા વેરિયન્ટને પગલે ભારત સરકાર પણ સતર્ક બની છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોએ લેટર લખીને વિદેશથી આવતા તમામ મુસાફરોના જીનામ સિક્વન્સર માટે રાજ્યોને કોવિડ ટેસ્ટ કરવાનું કહ્યું છે. કેન્દ્ર સરકારે જોખમ યાદી ધરાવતા દેશોની સૂચિ તૈયાર કરી છે અને ત્યાંથી આવતા મુસાફરો પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. આ દેશો યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોંગ અને ઇઝરાયલ છે. જે લોકો આ દેશોમાંથી ભારત આવે છે તેમણે ૧૪ દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવું પડશે અને રવાના થવાના ૪૮ કલાક પહેલા કોવિડ ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરવો પડશે.
શું તેની સામે વેક્સિન અસરકારક છે?
ઓમિક્રોન સામે વેક્સિન કેટલી અસરકારક છે તે હજુ સુધી અસ્પસ્ટ છે. ફાઇઝર-બાયોટેકએ કહ્યું છે કે તે આગામી બે અઠવાડિયામાં આ પ્રશ્નનો જવાબ આપી શકશે.