પહેલા કોરોના, પછી ડેલ્ટા, હવે ઓમિક્રોન. કોરોના મહામારીના વિવિધ વેરિયન્ટે સમગ્ર વિશ્વની ઊંઘ હરામ કરી દીધી છે. હવે આ વાયરસ લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. કોરોના વાયરસને લઈને દરરોજ નવા અભ્યાસ બહાર આવી રહ્યા છે. હવે નિષ્ણાતોએ દાવો કર્યો છે કે ઓમિક્રોન કોરોનાનું છેલ્લું વેરિઅન્ટ નહીં હોય.
ઓમિક્રોન પછી આવશે બીજા ઘાતક વેરિયન્ટ
બોસ્ટન યુનિવર્સિટીના મહામારી નિષ્ણાંત લિયોનાર્ડો માર્ટિનસે જણાવ્યું હતું કે ઝડપી ફેલાવાને કારણે, ઓમિક્રોનને વધુ મ્યુટેશન બનાવવાની તક મળશે, જેનાથી વધુ વેરિઅન્ટ આવવાની શક્યતા વધી જશે. નવેમ્બરના મધ્યમાં આ પ્રકારનું આગમન થયું ત્યારથી, તે સમગ્ર વિશ્વમાં આગની જેમ ફેલાઈ ગયું છે. સંશોધન દર્શાવે છે કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં ચારગણી ઝડપથી ચેપ લગાડે છે.
દરેક વેરિયન્ટમાં વાયરસને મ્યુટેટ કરવાની ક્ષમતા
નિષ્ણાતોએ કહ્યું કે દરેક વેરિયન્ટમાં વાયરસને મ્યુટેટ કરવાની ક્ષમતા હોય છે અને ઓમિક્રોન પોતે જ મ્યુટેટ કરી શકે છે. તેમણે કહ્યું કે રસી અને રોગપ્રતિકારક શક્તિ કુદરતી રીતે મળી હોવા છતાં, તે લોકોને ચેપ લગાડી રહ્યો છે, આનો અર્થ એ છે કે આ વાયરસ વધુને વધુ લોકોમાં આગળ વધી શકે છે.
વારંવાર અને લાંબા સમયના ચેપને કારણે નવા વેરિયન્ટ આવી શકે
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના રોગચાળાના નિષ્ણાત ડૉ. સ્ટુઅર્ટ કેમ્પબેલે જણાવ્યું હતું કે વારંવાર અને લાંબા સમય સુધી ચેપને કારણે કોરોનાના નવા વેરિયન્ટ આવી શકે છે.
ઓમિક્રોન દર્દી 24 કલાકની અંદર ફેલાવવા લાગે છે કોરોના
ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિ 24 કલાકની અંદર કોરોના સ્પ્રેડર એટલે કે કોરોનાને ફેલાવવા લાગી જાય છે. આ સંક્રમિત વ્યક્તિ તેના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિઓને ચેપ લગાડવા લાગે છે. ડેલ્ટા સહિતના બીજા વેરિયન્ટમાં કોરોના સ્પ્રેડર બનવામાં 2થી4 દિવસનો સમય લાગતો હતો તેવું અમેરિકાના એક મોટા સ્ટડીમાં બહાર આવ્યું છે. કોરોના સંક્રમિત વ્યક્તિ લક્ષણો આવ્યાના થોડા દિવસ પહેલા અને સમાપ્ત થયાના થોડા દિવસ બાદ સંક્રમણ ફેલાવતો હતો તો ઓમિક્રોન વેરિયન્ટના કિસ્સામાં વ્યક્તિ 1 દિવસની અંદર જ કોરોના સંક્રમણ ફેલાવવા લાગી જાય છે. ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિમાં લક્ષણ 3 દિવસની અંદર જોવા મળે છે જ્યારે આ વેરિયન્ટથી સંક્રમિત થયાના 1 દિવસની અંદર વ્યક્તિ બીજા લોકોને સંક્રમિત કરવા લાગે છે.